ક્રેમલિન પેલેસ : રશિયાના ઇતિહાસનો સાક્ષી

.

રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રેમલિનનો ભવ્ય મહેલ ખડો છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા (યુએસએ) અને સોવિયેટ રશિયા (તત્કાલીન યુએસએસઆર) વચ્ચે શીત યુદ્ધ – કોલ્ડ વોર – ના ગાળામાં ક્રેમલિનનું નામ  ખૂબ ચમકતું રહ્યું. વર્તમાન પત્રોમાં રશિયા કે મોસ્કોનો ઉલ્લેખ ક્રેમલિન તરીકે થતો જેમ કે અમેરિકાની વિયેટનામ નીતિ સામે ક્રેમલિનની નારાજગી.  આજકાલ રશિયન સુપરપાવરની શક્તિ ઘટી જતાં આ શબ્દનો જાદુ ઓસરી ગયો હોવાથી તે  શબ્દ જાણે ભૂલાતો જાય છે.

ચીન (ચાઇના)ની રાજધાની બેજિંગ( પેકિંગ)માં ફર્ગોટન સીટી, ફ્રાંસમાં સમ્રાટ લૂઇનો વર્સાઇ (વર્સેલ્સ)નો મહેલ અને રશિયામાં શહેનશાહ ઝારનો મહેલ ક્રેમલિન- આ મહેલાતો જૂના જમાનાની રાજાશાહીની પ્રતીક બની રહી છે.

રશિયાનું વર્તમાન પાટનગર મોસ્કો મોસ્કવા નદીને કાંઠે વસેલ છે. મોસ્કો શહેરની સ્થાપના ઇસ 1147માં થઇ હતી. રશિયાના પ્રથમ ઝાર ઇવાન ધ ટેરિબલના સમયમાં મોસ્કોને રાજધાની બનાવાયું (1547). પ્રસિદ્ધ રશિયન રાજ્યકર્તા ઝાર પીટર ધ ગ્રેટના સમયમાં રાજધાની માટે નવા શહેર પીટર્સબર્ગની રચના થઇ (1703). પીટર્સબર્ગ શહેર પાછળથી પેટ્રોગ્રાડ તથા લેનિનગ્રાડ નામથી ઓળખાયું. ફ્રાંસના સમ્રાટ નેપોલિયન (1769 – 1821)ના રશિયા પરના આક્રમણ દરમ્યાન મોસ્કો (રાજધાની ન હોવા છતાં) તબાહ થયું.

રશિયામાં 1917ની બોલ્શેવિક ક્રાંતિ (રશિયન ક્રાંતિ – ઓક્ટોબર રેવોલ્યુશન)માં ઝારશાહીનો અંત આવ્યો; લેનિનના નેતૃત્વમાં સામ્યવાદી શાસન સ્થપાયું અને 1918માં દેશની રાજધાનીને પીટર્સબર્ગથી ફરી મોસ્કો ખસેડવામાં આવી.

મોસ્કોના ક્રેમલિનના મૂળ બાંધકામની શરૂઆત પંદરમી સદીમાં થઇ. વખતોવખત તેમાં સુધારાવધારા થતા રહ્યા. સોળમી સદીમાં રશિયન ઝાર ઇવાન ધ ગ્રેટ દ્વારા 60 મીટર ઊંચું ટાવર (બેલ ટાવર) બનાવાયું જેની ઊંચાઇ પાછળથી વધારાઇ. 1812માં ફ્રેંચ આક્રમણમાં ભારે ક્ષતિગ્રસ્ત થયેલ ક્રેમલિનનું પુન નિર્માણ ઝાર નિકોલસ પહેલા (1796 – 1855) એ શરૂ કરાવ્યું પરિણામે આપણને આજે જોવા મળતા ગ્રેટ ક્રેમલિન પેલેસની ભેટ મળી. મોસ્કોમાં 24 હેક્ટરમાં ફેલાયેલ ક્રેમલિન હકીકતમાં કેટલીક ફોર્ટિફાઇડ ઇમારતોનો સંકુલ છે. તેમાં ચાર મહેલો તેમ જ ચાર કેથેડ્રલ આવેલાં છે. તેની ફરતે બે હજાર મીટરથી વધુ લંબાઇનો કોટ છે જેની ઊંચાઇ આઠથી ઓગણીસ મીટર જેટલી છે. કોટ પર વીસેક ટાવર છે જે પૈકી 81 મીટરનું ઇવાનનું બેલ ટાવર સૌથી ઊંચું છે. રશિયન ક્રાંતિના પ્રણેતા વ્લાડીમીર લેનિન કેટલોક સમય ક્રેમલિનમાં રહેલા. બીજા વિશ્વયુદ્ધમાં રશિયાને દોરનાર અને પછી લોખંડી પંજામાં દેશને ભીંસનાર રશિયન પ્રમુખ જોસેફ સ્ટાલિન (સ્ટેલિન) ક્રેમલિનના નિવાસી રહી ચૂક્યા છે. સ્ટાલિનના અવસાન (1953) પછી ક્રેમલિનના દરવાજા સામાન્ય મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયા.

.

વિશ્વની પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

.

.

ફ્રાંસની રાજધાની પેરિસમાં સત્તરમી સદીમાં વિશ્વની પ્રથમ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થા (Public transport system) અમલમાં આવી.

તે સમયે ફ્રાંસમાં સમ્રાટ ચૌદમા લુઇ (Louis ix : 1638 – 1715) નું રાજ્ય હતું. વિશ્વના રાજ્યકર્તાઓમાં સૌથી લાંબા સમય – બોંતેર વર્ષ –  માટે રાજગાદી ભોગવનાર રાજવી તરીકે ચૌદમા લુઇનું નામ પ્રથમ આવે છે. સમ્રાટ ચૌદમા લુઇના બોંતેર વર્ષના વિશ્વવિક્રમી શાસનકાળ (1643 – 1715)  દરમ્યાન વર્સાઇ (વર્સેલ્સ Versailles) ના મશહૂર મહેલનું નિર્માણ થયું.

દુનિયાની પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના આરંભ સાથે ફ્રાંસના વિખ્યાત ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલ (Blaise Pascal : 1623 – 1662)નું નામ જોડાયેલું છે. પોતાના મૃત્યુના એક વર્ષ અગાઉ 1661માં પાસ્કલે પેરિસમાં જાહેર વાહનવ્યવહાર સેવા શરૂ કરવા સૂચન કર્યું. તેના ફળસ્વરૂપે 1662માં પેરિસમાં નગરજનો માટે ઘોડાથી ખેંચાતા કોચ (Horse-driven coaches) ની વ્યવસ્થા થઇ જે બસ સિસ્ટમ તરીકે ઓળખાઇ. આવા કોચીઝ પેરિસના રસ્તાઓ પર નિશ્ચિત રૂટ પર નિર્ધારિત ચાર્જથી દોડતા.

ફ્રેંચ સમ્રાટ લુઇ ચૌદમાએ પણ આ બસ સિસ્ટમમાં પ્રવાસ કર્યો. આમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરનાર વિશ્વના પ્રથમ રાજ્યકર્તા તરીકે ફ્રાંસના સમ્રાટ ચૌદમા લુઇનું નામ લખાયું. જો કે આ જાહેર વાહનવ્યવહાર સેવા લોકપ્રિય ન નીવડી અને વીસેક વર્ષના ટૂંકા ગાળામાં બંધ થઇ ગઇ.

ગણિતશાસ્ત્રમાં પ્રોબેબિલિટી (Probability) અને ડિફરેન્શિયલ કેલ્ક્યુલસ (Differential calculus) ક્ષેત્રોમાં  પાસ્કલનો ફાળો છે. પાસ્કલનું યોગદાન ગણિત અને વિજ્ઞાન ઉપરાંત તત્વજ્ઞાન (ફિલોસોફી) ના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર છે. ભૌતિક વિજ્ઞાનમાં પ્રવાહી પદાર્થના દબાણના પ્રયોગો માટે બ્લેઝ પાસ્કલ તથા રોબર્ટ બોયલનાં નામ જાણીતાં છે.

.

ફાર્માસ્યુટિકલ માર્કેટ અને વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓની ધૂમ વેચાતી દવાઓ (2010-11)

.

ભારતના ફાર્માસ્યુટિકલ માર્કેટની તમામ દવાઓ/મેડિસિનનું કુલ વેચાણ (2011ના એક અંદાજ મુજબ) આશરે 59000 કરોડ રૂપિયા હતું. જ્યારે વિશ્વવિખ્યાત ફાઇઝર કંપનીની સૌથી વધુ વેચાતી દવા લિપિટોરનું વર્ષ 2010માં વેચાણ 63000 કરોડ રૂપિયા જેટલું હતું.

બીજા શબ્દોમાં, ફાઇઝર કંપનીની એક જ પ્રોડક્ટ લિપિટોરનું વેચાણ ભારતના કુલ ફાર્મા માર્કેટ કરતાં પણ ક્યાંયે વધારે હતું!

માત્ર અમેરિકા(યુએસએ)માં લિપિટોરનું વાર્ષિક વેચાણ 28000 કરોડ રૂપિયા હતું,  જ્યારે ભારતની કોઇ એક ફાર્મા કંપનીનું કુલ વાર્ષિક વેચાણ હજી દસ હજાર કરોડ રૂપિયાને કૂદાવી શક્યું નથી.

આ અંદાજ પ્રમાણે વિશ્વભરની ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવાઓનું વાર્ષિક વેચાણ આઠસો બિલિયન ડોલર જેટલું હતું. સૌથી મોટી પ્રથમ પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓના હાથમાં વિશ્વના કુલ ફાર્મા માર્કેટનો 25% થી વધુ હિસ્સો છે.

વિશ્વની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ફાઇઝર,  નોવાર્ટિસ તથા મર્ક પ્રથમ ત્રણ સૌથી મોટી ફાર્મા કંપનીઓ છે. વિશ્વની પ્રથમ નંબરની  ફાઇઝર કંપનીની દવાઓનું વાર્ષિક વેચાણ ભારતના સમગ્ર ફાર્મા ઉદ્યોગની દવાઓના વેચાણ કરતાં પાંચેક ગણું છે!

.

સલીમ અલી, મુંબઇ અને ઘોડાની ટ્રામ

.

.

ભારતના ગણમાન્ય પક્ષીવિદ સલીમ અલીના નામથી આપ પરિચિત હશો. સલીમ અલીએ પક્ષીઓના અભ્યાસ પાછળ જીવન સમર્પિત કર્યું અને પક્ષીશાસ્ત્રના નિષ્ણાત તરીકે દુનિયાભરમાં નામના મેળવી.

સલીમ અલીનું બાળપણ મુંબઇમાં વીત્યું. નવ ભાઇ-બહેનોમાં સૌથી નાના સલીમ અલી. તેમણે નાની ઉંમરમાં માતાપિતા ગુમાવ્યાં. નવ બાળકો તેમના મામાને ત્યાં મોટાં થયાં. મુંબઇમાં ચર્ની રોડ – ગિરગામ વચ્ચે ખેતવાડીમાં તેમનું ઘર.

વીસમી સદીની શરૂઆતના તે સમયમાં શિક્ષણ પામવું સરળ ન હતું. આઠ-નવ વર્ષના થયા ત્યાં સુધી સલીમ અલી ગિરગામની એક ગર્લ્સ મિશનરી સ્કૂલમાં ભણ્યા. પછી તેમણે ધોબી તળાવની સેંટ ઝેવિયર્સમાં અભ્યાસ કર્યો. તે સમયે મુંબઇમાં મોટરકારનું નવું નવું આગમન થયું હતું. શહેરમાં ગણીગાંઠી કાર હતી. મુંબઇમાં ટ્રાન્સપોર્ટ માટે ઘોડાની ટ્રામ પ્રચલિત હતી.

મુંબઇના વિવિધ વિસ્તારોમાં બોમ્બે ટ્રામ કંપનીની એક અથવા બે ઘોડાની ટ્રામો (ટ્રામ્સ) દોડતી. સલીમ અલી આવી ઘોડાની ટ્રામમાં બેસીને શાળાએ જતા. ઇરાકથી આવેલા અરબી ઘોડા કે ઓસ્ટ્રેલિયાથી આયાત કરેલા ઊંચી નસ્લના ઓસ્ટ્રેલિયન ઘોડા ટ્રામને ખેંચતા. જુદા જુદા રૂટ પર નિર્ધારિત સ્થાનો વચ્ચે ટ્રામ સર્વિસ સમયાંતરે દોડતી.

લાંબા અંતરના રૂટ પર રસ્તામાં નિશ્ચિત સ્થળે ટ્રામના ઘોડા બદલવામાં પણ આવતા. તો વળી રસ્તામાં આવતા પુલ પરથી ટ્રામને ખેંચવા વિશિષ્ટ વ્યવસ્થા રહેતી. પુલના આરંભના ભાગે એક ઘોડાવાળો ખડે પગે રહેતો. દોડતી ટ્રામ જેવી પુલ પાસે આવે કે તરત ઘોડાવાળો પોતાનો ઘોડો લઇ ટ્રામ સાથે દોડતો અને ચાલતી ટ્રામે જ પોતાના ઘોડાને ટ્રામ સાથે જોડી દઇ ટ્રામને પુલ ચડવામાં મદદરૂપ થતો. ટ્રામ પુલના મધ્યના ભાગે પહોંચે કે તરત એવી જ ચપળતાથી પોતાનો ઘોડો છૂટો પાડી ઘોડાવાળો પછીની ટ્રામની પ્રતીક્ષામાં ફરી પોતાના સ્થાને ઊભો રહી જતો.

કાર, બસ અને ટ્રેનમાં મુંબઇ ઘુમી ચુકેલા આપણને સૌને ઘોડાની ટ્રામની વ્યવસ્થા સમજવી કેવી અઘરી લાગે !

.

અમેરિકા-યુરોપ વચ્ચે ટેલિગ્રાફ કેબલ્સ: ટેલિકોમ્યુનિકેશનનો ચમત્કાર

.

.
વોટરલુની લડાઇ – બેટલ ઓફ વોટરલુ -માં અંગ્રેજ કમાંડર ડ્યુક ઓફ વેલિંગ્ટન સામે ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની કારમી હાર થઇ. 1815ના જૂન મહિનામાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની દક્ષિણે આવેલ વોટરલુના મેદાનમાં તે લડાઇ થઇ. ઇંગ્લેન્ડ- પ્રુશિયા અને યુરોપના કેટલાક દેશોનાં સંયુક્ત લશ્કરી દળોએ બ્રિટીશ નેતૃત્વમાં નેપોલિયનનાં ફ્રેંચ સૈન્ય પર વિજય મેળવ્યો.

વોટરલુમાં નેપોલિયનની હારના સમાચાર ઇંગ્લેન્ડ અને અમેરિકાનાં શહેરોમાં ચાર દિવસે જાણવા મળેલા. ચાર દિવસ!!! હવે જુઓ ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિ ગાથા!

1858ના વર્ષમાં એટલાંટિક મહાસાગરના તળિયે અમેરિકા-યુરોપ વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ કેબલ્સ (ટ્રાંસ એટલાંટિક કેબલ્સ) નખાયાં. વિશ્વનો પ્રથમ ટેલિગ્રાફ સંદેશો મોકલવાનું શ્રેય ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાને મળ્યું. 16 ઓગસ્ટ 1858ના દિવસે ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાએ અમેરિકાના પ્રેસિડેન્ટ જેમ્સ બુકેનન (યુએસએના 15મા પ્રમુખ) ને પ્રથમ ટેલિગ્રાફ સંદેશો મોકલ્યો. બ્રિટીશ ક્વિનના વિશ્વના પ્રથમ ટેલિગ્રાફિક મેસેજના તમામ 98 શબ્દોને એટલાંટિક ઓશનને પાર કરી અમેરિકન પ્રેસિડેંટ સુધી પહોંચવામાં સોળ-સત્તર કલાક (!) લાગ્યા! એક કલાકમાં છ શબ્દોનું ટ્રાંસમિશન!!!

1866માં મહાતોતિંગ બ્રિટીશ જહાજ ગ્રેટ ઇસ્ટર્ન (તે જમાનાનું સૌથી મોટું શીપ) ની મદદથી એટલાંટિક મહાસાગરના ટેલિગ્રાફ કેબલ્સ રીપેર અથવા રીપ્લેસ થયાં. નવાં ટેલિગ્રાફ કેબલ્સને કારણે સંદેશાવ્યવહારની સ્પીડ વધી – એક મિનિટના આઠ શબ્દો! વીસમી સદીમાં તે સ્પીડ મિનિટના એકસો વીસ શબ્દો પાર કરી ગઇ!

અને આજે જુઓ! ભારતમાં લખાયેલ વર્ડપ્રેસના આ બ્લોગ – મધુસંચય –ની પોસ્ટ પ્રકાશિત થતાં વેંત ઇન્ટરનેટના પ્રતાપે ભારત કે અમેરિકામાં જ નહીં, વિશ્વભરમાં વાંચી શકાય છે! ટેલિકોમ્યુનિકેશનનો કેવો ચમત્કાર!

.

‘ઇન્ફોસિસ’ના સ્થાપક નારાયણ મૂર્તિ : સામ્યવાદથી મૂડીવાદ પ્રતિ

.

ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની અગ્રીમ કંપની ‘ઇન્ફોસિસ’ ( Infosys Technologies, Bangalore, India ) અને તેના સ્થાપક નારાયણ મૂર્તિથી “મધુસંચય”ના વાચકમિત્રો પરિચિત હોય જ.

ભારતની આ પ્રતિષ્ઠિત આઇટી કંપની ‘ઇન્ફોસિસ’ (INFOSYS)ની કોર્પોરેટ ઓફિસ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં છે. સોફ્ટવેર એન્જિનિયર શ્રી નારાયણ મૂર્તિ તથા તેમના છ સહયોગીઓ દ્વારા પૂના શહેર (મહારાષ્ટ્ર)માં ઇસ 1981માં ‘ઇન્ફોસિસ’ની સ્થાપના થઇ. આજે ‘ઇન્ફોસિસ’ એવો તો ઝડપી વિકાસ સાધી રહી છે. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ટોચની ત્રણ કંપનીઓ ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ – TCS ), ઇન્ફોસિસ (Infosys) તથા વિપ્રો (WIPRO)  છે.

નારાયણ મૂર્તિનો જન્મ 20 ઓગસ્ટ 1946ના રોજ કર્ણાટક રાજ્યમાં થયો. તેમણે કાનપુર(ઉત્તરપ્રદેશ, ભારત) ના વિશ્વવિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી – IIT ) માંથી એમ. ટેક. ની ડિગ્રી 1969માં મેળવી. સોફ્ટવેર એંજિનિયર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ વિવિધ સંસ્થાઓ / કંપનીઓમાં થયો. અમદાવાદ (ગુજરાત) ના  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ – IIM- A ) માં નારાયણ મૂર્તિએ ચીફ સિસ્ટમ પ્રોગ્રામર તરીકે સેવાઓ આપી. પાછળથી તેમણે સોફ્ટવેર ટેકનોલોજીમાં દેશની જાણીતી કંપની પટણી કોમ્પ્યુટર્સ સિસ્ટમ્સ (પૂના, મહારાષ્ટ્ર)માં ઊંચી પદવી પર જોબ કરી.

પરંતુ નારાયણ મૂર્તિની જિંદગીનો એક મહત્વનો તબક્કો પેરિસ (ફ્રાન્સ) ખાતે યુરોપની મલ્ટીનેશનલ આઇટી કંપની ‘સેસા’ (SESA) ખાતે રહ્યો. એંશીના દાયકાના આરંભકાળે નારાયણ મૂર્તિ સામ્યવાદ (Communism) ના વિચારોથી પ્રભાવિત હતા. સામ્યવાદના સહારે સમાજના બહુવિધ વર્ગોનો ઉદ્ધાર કરવા ઇચ્છતા હતા. ભારે આદર્શવાદી વિચારધારામાં રાચતા પચ્ચીસેક વર્ષના નારાયણ મૂર્તિ ત્યારના યુરોપના કટ્ટર સામ્યવાદી દેશ બલ્ગેરિયા (Bulgaria, Europe) માં ટ્રેઇનમાં પ્રવાસ કરી રહ્યા હતા કોઇ સહપ્રવાસી યુરોપિયન યુવતી સાથે ચર્ચા કરી રહ્યા હતા. વાતવાતમાં યુવતીએ સામ્યવાદી દેશોની દબાય્ર્લી પ્રજાઓની હાલાકીઓની નરી વાસ્તવિકતાઓ વર્ણવી. નારાયણ મૂર્તિ અકળાઈ ગયા અને તેમણે સામ્યવાદી સરકારની માનવ સ્વાતંત્ર્યને કચડતી નીતિઓની ટીકા કરી. બસ, થઇ રહ્યું! સામ્યવાદી દેશમાં તમે મોં કેમ ખોલી શકો? બલ્ગેરિયન પોલિસે તેમની ધરપકડ કરી અને નારાયણ મૂર્તિને ત્રણ-ચાર દિવસ દોઝખ જેવી પોલિસ કસ્ટડીમાં રહેવું પડ્યું !

નારાયણ મૂર્તિએ માનવીની અંગત વિચારધારાને કચડતા, માનવીના સ્વાતંત્ર્યને છીનવી લેતા સામ્યવાદનો મોહ છોડ્યો. તેમણે વિચાર્યું કે મૂડીવાદ (Capitalism) ના માર્ગ  પર ધંધા ઉદ્યોગના વિકાસથી પણ સમાજના વિકાસની તકો વધારી શકાય છે. નારાયણ મૂર્તિના મહાન સ્વપ્ન ‘ઇન્ફોસિસ’નાં બીજ ત્યારે રોપાયાં. 

રશિયાના છેલ્લા ઝાર, રશિયન ક્રાંતિ અને આધુનિક વિજ્ઞાન

.

ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ (Bolshevik Revolution) થી રશિયા (Russia)માં લેનિન (Vladimir Lenin)ના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનનો ઉદય થયો.

રશિયન ક્રાંતિ પહેલાં રશિયામાં સદીઓ સુધી ઝાર (Czar or Tsar) રાજાઓની રાજાશાહી રહી. આખરી રશિયન સમ્રાટ ઝાર નિકોલસ બીજા (Emperor Czar Nicholas II ) એ 1894માં 16 વર્ષની ઉંમરે ગાદી સંભાળી. રશિયામાં 1905માં ક્રાંતિનો પ્રયત્ન થયો જેને કચડવામાં ઝાર નિકોલસને સફળતા મળી. પરંતુ રશિયન પ્રજાના પ્રચંડ વિરોધને વશ થઇ ઝાર નિકોલસ બીજાને 1917માં સત્તાત્યાગ કરવો પડ્યો. લોકપ્રિય મનાતા નવા શાસનકર્તાઓએ પ્રજાતંત્ર સ્થાપવા નિષ્ફળ પ્રયત્નો કર્યા.

1917માં રશિયામાં લેનિનની સરદારી નીચે બોલ્શેવિક ક્રાંતિ થઈ જેમાં કેરેંસ્કીની સરકારને ઉથલાવવામાં આવી. 1918ની 17મી જુલાઇની રાત્રે ઝાર નિકોલસ બીજા, તેમનાં પત્ની, ચાર યુવાન પુત્રીઓ અને બાળ રાજકુમારને એક સાથે ઠાર મારવામાં આવ્યાં. આમ, રશિયામાં સમ્રાટ નિકોલસ બીજાના રાજકુટુંબની હત્યાથી ઝારશાહીનો અંત આવ્યો. રશિયન ક્રાંતિ (Russian Revolution) પછી રશિયામાં લેનિનના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકાર સત્તા પર આવી.

જો કે હમણાં સુધી રાજકુટુંબની હત્યા વિશે પ્રશ્નો ઊઠતા રહ્યા. કેટલાંક વર્ષ પહેલાં રાજકુટુંબના સભ્યોના કહેવાતા અવશેષો મળી આવ્યા. આધુનિક વિજ્ઞાનની મદદ લેવાઇ.  છેલ્લા બે વર્ષમાં અમેરિકા, યુકે અને રશિયાના વૈજ્ઞાનિકોએ ભારે જહેમત કરી. ડીએનએ (DNA) ટેસ્ટથી તે અવશેષો ઝાર નિકોલસ બીજાના રાજપરિવારના હોવાનું પુરવાર થયું. આધુનિક વિજ્ઞાનની કરામાતી પ્રગતિથી નેવું વર્ષ પછી રશિયન રાજકુટુંબની હત્યા પુરવાર થઈ શકી.

.

ટપાલ ટિકિટ, ફિલાટેલી અને ફિલિપ ફેરારી

આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા (પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે. ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. છતાં, આજકાલ ટપાલ ટિકિટ સંગ્રહના શોખ / કલાને ફિલાટેલી તથા ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે.

વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ (ગુંદર લગાડેલ એડહેસિવ પોસ્ટલ સ્ટેમ્પ) બહાર પાડનાર દેશ જેને આપણે સામાન્ય રીતે ઇંગ્લેંડ કહીએ છે તે દેશ યુકે (યુનાઇટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન એંન્ડ આયર્લેંડ) હતો.

1840માં ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) ની ટપાલ ટિકિટ “પેની બ્લેક” તે જગતની સર્વ પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ. દુનિયાની તે પહેલી ટપાલ ટિકિટ પર ઇંગ્લેંડનાં રાજકુમારી પ્રિંસેસ વિક્ટોરિયા (જે પાછળથી ક્વિન વિક્ટોરિયા તરીકે ઇંગ્લેંડનાં મહારાણી બની ગાદી પર આવ્યાં)નો ચહેરો અંકિત હતો. એક પેનીની કિંમતની પ્રિન્સેસ વિક્ટોરિયાની આ સ્ટેમ્પ બ્લેક રંગમાં છપાયેલી હોવાથી ‘પેની બ્લેક’ના નામથી જાણીતી થઈ. ત્યાર બાદ 1843માં બ્રાઝિલ, 1845-47 દરમ્યાન અમેરિકા (યુએસએ) તથા 1847માં ફ્રાંસમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.

ભારત (તત્કાલીન બ્રિટીશ રાજ હેઠળના હિંદુસ્તાન) માં સર્વ પ્રથમ ટપાલ ટિકિટ ઉત્તર હિંદુસ્તાનના સિંધ પ્રાંતમાં 1852માં બહાર પડી. આમ, ટપાલ ટિકિટ બહાર પાડનાર ભારત એશિયા ખંડનો સૌથી પહેલો દેશ બન્યો. પોસ્ટલ સર્વિસીઝનો વ્યાપ વધતાં પોસ્ટેજ સ્ટેમ્પ્સનો બહોળો ઉપયોગ થતો ગયો. જુદા જુદા દેશો ભાતભાતની રંગબેરંગી ટિકિટો બહાર પાડવા લાગ્યા. સાથે લોકોમાં ટિકિટ સંગ્રહનો શોખ જાગતો ગયો.

ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો ટિકિટ સંગ્રહ બેનમૂન હતો અને આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી (1850-1917)નો જન્મ પેરિસ (ફ્રાંસ)માં, પણ પેરિસમાં રહેવા છતાં પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. કિશોર વયથી તેમણે ટિકિટ સંગ્રહ શરૂ કર્યો. થોડા  દાયકાઓમાં અગણિત દુર્લભ ટિકિટો સાથે તેમનો ટિકિટ સંગ્રહ અનોખો બની રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.

.

વ્હાઈટ હાઉસ અને અમેરિકાના પ્રેસિડેન્ટ

 

પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશ્વની ‘મહાસત્તા’ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના 44મા પ્રમુખ તરીકે ચુંટાયા પછી વ્હાઇટ હાઉસ સમાચારોમાં ચમકતું રહે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના પ્રમુખ (અમેરિકન પ્રેસિડેન્ટ – The President : United States of America )નું સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસ કહેવાય છે. વ્હાઇટ હાઉસ (The White House, Washington D.C.,  USA ) અમેરિકાના ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં પોટોમેક નદીને કાંઠે વસેલા વોશિંગ્ટન શહેરમાં સ્થિત છે. વોશિંગ્ટન (ડીસી)માં વ્હાઇટ હાઉસના નિર્માણનો શ્રેય પ્રથમ યુ એસ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન (George Washington 1732 – 1799) ને જાય છે. અમેરિકન લોકશાહીના પ્રતીક સમા આ  નિવાસસ્થાનનું ખાતમુહૂર્ત 13 ઓક્ટોબર, 1792ના રોજ થયું.

આઠ વર્ષે તૈયાર થયેલ વ્હાઇટ હાઉસમાં રહેનાર પ્રથમ પ્રેસિડેન્ટ જહોન એડમ્સ (દ્વિતીય અમેરિકન પ્રમુખ) હતા. 1879માં વ્હાઇટ હાઉસમાં ટેલિફોન આવ્યો. નેવું વર્ષ સુધી અંધારામાં રહેલ વ્હાઇટ હાઉસ 1891માં ઇલેક્ટ્રિક પાવરથી પ્રકાશિત થયું ત્યારે અમેરિકાના ત્રેવીસમા પ્રમુખ બેંજામિન હેરિસન ત્યાં નિવાસિત હતા. પ્રમુખ હેરિસન અને તેમનાં પત્ની ઇલેક્ટ્રિક શોકથી ડરીને સ્વીચને હાથ પણ ન લગાડતાં !!

132 રૂમના આ ભવ્ય મહાલયમાં ‘બ્લ્યુ રૂમ’નું મહત્વ અનોખું છે, જ્યાં પ્રમુખ વીઆઇપી મુલાકાતીઓને આવકારે છે. અશ્વેત નેતા પ્રેસિડેંટ ઓબામા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ના પ્રમુખ તરીકે ચુંટાયા પછી વિશ્વની આશાભરી મીટ વ્હાઇટ હાઉસ પર છે.

મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય

.

મહાયોગી શ્રી અરવિંદના પ્રતિભાવાન શિષ્યોમાં શ્રી દિલીપકુમાર રાય (1897 – 1980) નું નામ પ્રથમ પંક્તિમાં આવે.

કુશાગ્ર બુદ્ધિપ્રતિભાસંપન્ન દિલીપકુમાર રાય ઉમદા વક્તા, મધુર ગાયક અને પ્રખર સંગીતજ્ઞ હોવા ઉપરાંત મહાતેજસ્વી સાધક તેમજ ચિંતનશીલ વિચારક હતા.

તેમના દાદા બંગાળાના વિખ્યાત ગાયક હતા. તેમના પિતા દ્વિંજેન્દ્રલાલ રાય ગાયક અને સંગીતજ્ઞ હોવા ઉપરાંત બંગાળી ભાષાના પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર હતા. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દ્વિજેન્દ્રલાલ રાયે વિલાયત જઈને ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.  દિલીપકુમારના નાનાજી ડોક્ટર હતા અને તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતિમ દિવસોમાં તેમની ચિકિત્સા કરી હતી. બાળપણમાં દિલીપકુમારને ત્યાં મેધાવી વિદ્વાનોની બેઠકો થતી રહેતી અને જ્ઞાનચર્ચા થતી. સ્વાભાવિક છે કે આવા તેજોમય પરિવારનું ફરજંદ પણ પ્રતિભામાન બને.  

બારેક વર્ષની ઉંમરે  તેમને શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતેવાસી ભક્ત શ્રી ‘મ’નાં માર્ગદર્શન અને આશિષ મળ્યાં.  (શ્રી ‘મ’ એટલે મહેન્દ્રનાથ ગુપ્ત, કલકત્તા-કોલકતા-ના મોર્ટન ઇન્સ્ટિટ્યુશનના વિદ્વાન હેડમાસ્ટર. તેમની વિસ્તૃત નોંધપોથીઓ પરથી ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પ્રગટ થયું)  બાળક દિલીપકુમાર રાયે દક્ષિણેશ્વર જઈ પૂજ્ય શારદામણિમાના પ્રત્યક્ષ દર્શન કરી આશીર્વાદ લીધા.

તેમણે સોળ વર્ષની ઉંમરે ગણિત અને સંસ્કૃતમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી મેટ્રિકની પરીક્ષા પસાર કરી. કોલેજમાં દિલીપકુમારને સહાધ્યાયી અને પરમ મિત્ર તરીકે સુભાષચંદ્ર બોઝનો ગાઢ પરિચય થયો. કોલેજકાળમાં તેમને મહાન સંત રાખાલ મહારાજનો સત્સંગ થયો.

દિલીપકુમાર મેથ્સમાં ઑનર્સ સાથે વિજ્ઞાનના સ્નાતક થયા અને 1919માં ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત પહોંચ્યા. તેમનો હેતુ વિશ્વવિખ્યાત કેમ્બ્રિજમાં અભ્યાસ કરવાનો તથા આઇસીએસ પરીક્ષા પાસ કરવાનો હતો. પણ કલા અને તત્વચિંતનના રંગે રંગાયેલા દિલીપકુમાર કેમ્બ્રિજનો અભ્યાસ છોડીને યુરોપમાં ત્રણેક વર્ષ ભ્રમણ કરતા રહ્યા.

માત્ર પચ્ચીસ વર્ષની ઉંમર પૂરી કરતાં પહેલાં તો દિલીપકુમાર ‘જ્યોં ક્રિસ્તોફ’ના કર્તા મહાન ફ્રેંચ લેખક રોમાં રોલાં, ‘સિદ્ધાર્થ’ના સિદ્ધહસ્ત સર્જક હેર્માન હેસ અને  વિશ્વપ્રસિદ્ધ ગણિતજ્ઞ અને વિચારક-ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલની સાથે વાર્તાલાપો કરી ચૂક્યા હતા.

દિલીપકુમાર રાય કંઠ્ય અને વાદ્ય સંગીતમાં નિપૂણ હતા. યુરોપમાં  તેમણે સંગીતના ઘણા કાર્યક્રમો પણ આપેલા.

1924માં દિલીપકુમાર રાય પ્રથમ વખત પોંડિચેરી આશ્રમમાં મહાયોગી શ્રી અરવિંદને મળ્યા. બસ, તેમની જીવનદ્રષ્ટિ બદલાતી ગઈ.

અધ્યાત્મમાર્ગે રંગાયેલા દિલીપકુમાર રાયને મહર્ષિ મહાયોગી શ્રી અરવિંદ, માતાજી, સ્વામી યોગાનંદ, રમણ મહર્ષિ, મા આનંદમયી, પપા રામદાસ, રાખાલ મહારાજ, અલ્મોડાના સંત યોગી કૃષ્ણપ્રેમ, યશોદામા આદિ પૂજનીય સંત-વિભૂતિઓનો સત્સંગલાભ મળેલો અને કૃપા-આશિષ મળેલાં.

ઉપરાંત દિલીપકુમાર રાયે મહાત્મા ગાંધી, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, પંડિત મદનમોહન માલવિયાજી આદિ ભારતીય અને મહાન અણુવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ઇંગ્લેન્ડના વિચારક અને ગણિતજ્ઞ બર્ટ્રાન્ડ રસેલ, ફ્રેંચ લેખક-ફિલોસોફર રોમાં રોલાં, જર્મન લેખક હેરમાન હેસ, અન્વેષક-સાધક પોલ રિશાર અને ફ્રેડરિક સ્પિલબર્ગ જેવા વિશ્વવિખ્યાત મહાનુભાવોના સાન્નિધ્યને માણ્યું છે.

દિલીપકુમાર રાય બંગાળી-હિંદી ઉપરાંત અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન આદિ ભાષાઓ જાણતા. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. દિલીપકુમાર રાયનો અંગ્રેજી ગ્રંથ ‘Pilgrims of the Stars’ અમેરિકા અને યુરોપમાં ભારે પ્રસિદ્ધિ પામ્યો છે. તે પુસ્તકનો અનુવાદ જર્મન, પોર્ટુગિઝ, ફ્રેંચ અને સ્પેનિશ ભાષાઓમાં થયેલો છે. આ પુસ્તક ‘અનંતના યાત્રીઓ‘ નામથી ગુજરાતીમાં અનુવાદિત થયેલ છે. દિલીપકુમાર રાયનો એક અદભુત બંગાળી ગ્રંથ ‘અઘટન આજો ઘટે’ ગુજરાતીમાં ‘ચમત્કારો આજે પણ બને છે’ નામે પ્રગટ થયેલો છે. *

રોઝેટા સ્ટોન અને નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ

.

એક નાનકડો પથ્થર ઇતિહાસનાં અદભુત રહસ્યોને ખોલનાર ચાવી બની શકે?

હા, તેનું નામ છે રોઝેટા સ્ટોન (Rosetta Stone).

ઇજિપ્તની નાઇલ નદીના કિનારે હજારો વર્ષ પહેલાં મિસર (ઇજિપ્ત)ની સભ્યતા વિકસી હતી.

દુનિયાની એક પ્રાચીનતમ સંસ્કૃતિ તે નાઇલ કિનારાની મિસરની સભ્યતા.

નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ ચિત્રલિપિઓમાં સચવાયેલો છે. દાયકાઓ સુધી આ ચિત્રલિપિઓને ઉકેલવા પુરાતત્વવિદો મથતાં રહ્યાં.

ઇસ 1799માં ઇજિપ્તના ભૂમધ્ય સમુદ્ર કિનારા પરથી એક પથ્થર હાથ લાગ્યો. ભૂખરા-કાળા રંગના આ પથ્થરની ઊંચાઈ સાડા ત્રણ-પોણા ચાર ફૂટ, પહોળાઈ અઢી ફૂટ, જાડાઈ માંડ એકાદ ફૂટ! સાડા સાતસો કિલો વજનના આ પથ્થર પર ત્રણ ભાષા-લિપિઓમાં લખાણ મળ્યું – ક્લાસિકલ ગ્રીક લિપિ, પ્રાચીન ઇજિપ્શિયન ડેમોટિક લિપિ અને ભારે અટપટી અને વણઉકલી મિસરની ચિત્રલિપિ.

આ પથ્થર રોઝેટા સ્ટોન તરીકે ખૂબ જાણીતો થયો.

તેની ચિત્રલિપિને ઉકેલવા પુરાતત્વવેત્તા-ભાષાશાસ્ત્રીઓએ મોટા પાયે પ્રયત્નો શરૂ કર્યા. 1822માં એક બ્રિટીશ વૈજ્ઞાનિક તથા બીજા એક ફ્રેંચ વિદ્વાને રોઝેટા સ્ટોનની ચિત્રલિપિને ઉકેલી. આમ થતાં મિસર સંસ્કૃતિની ચિત્રલિપિઓનો ભેદ ખુલ્લો થયો.

પછી તો નાઇલ કિનારાની પ્રાચીન મિસર સભ્યતાનાં ઇતિહાસનાં કેટલાંયે રહસ્યો ખુલ્લાં થયાં. * **

**  *

ભારતની અવકાશવિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ: ‘ચંદ્રયાન’થી આરંભાતું ‘મૂન-મિશન’

.

આજે 22મી ઓક્ટોબર, 2008ને બુધવારે સવારે આશરે 6.22 વાગ્યે ભારતનું ‘ચંદ્રયાન-1′ (Chandrayaan – 1) ચંદ્રની સફરે જવા ઉપડી ચૂક્યું છે.

દક્ષિણ ભારતના શ્રીહરિકોટા લોંચિંગ સ્ટેશન ખાતેથી પીએસએલવી (PSLV – Polar Satellite Launch Vehicle) રોકેટની મદદથી લોંચ થયેલ ‘ચંદ્રયાન-1′થી ભારતના પ્રથમ માનવરહિત મૂન મિશનનો આરંભ થયો છે.

જ્યારે ‘ચંદ્રયાન-1′ ચંદ્રની ભ્રમણકક્ષામાં ઘૂમવા લાગશે, ત્યારે તેમાંથી નાનકડો ભારતીય ઉપગ્રહ એમઆઇપી (Moon Impact Probe) ચંદ્રની ધરતી પર ઉતરશે. તે સાથે ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર પહોંચશે. અમેરિકા, રશિયા અને જાપાન – ત્રણ દેશો પછી ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ મૂકનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે. ઇસરો (ઇસ્રો) ના નામે ઓળખાતી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO – Indian Space Research Organisation) ના ઉપક્રમે છોડાયેલ ‘ચંદ્રયાન-1′ લગભગ બે વર્ષ સુધી ચંદ્રને ભ્રમણ કરતાં રહીને ચંદ્ર વિશે મહત્વની માહિતી મોકલશે. ચંદ્રની સપાટીનો અભ્યાસ, તેનાં બંધારણીય તત્ત્વો અને મિનરલ્સની જાણકારી, યુરેનિયમ – 3 જેવા તત્ત્વોના પ્રમાણની ચકાસણી, ચંદ્રના ભૂપૃષ્ઠનો ત્રિ-પરિમાણીય નકશો તૈયાર કરવો ઇત્યાદિ મૂન મિશનનાં મૂળભૂત હેતુઓ છે.

આ પછી 2010માં રશિયાના સહયોગથી ‘ચંદ્રયાન-2′ને  મોકલવા માટેનું આયોજન ઇસરો કરી રહ્યું છે. આ મૂન મિશનોના ખર્ચ અને વૈજ્ઞાનિક હેતુઓ વિશે વિવાદો ઊઠવા છતાં ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોની આ મહાન ઉપલબ્ધિ બિરદાવવા લાયક છે.

‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો આ ઉપલબ્ધિને જરૂરથી વધાવી લેશે.

.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન તથા આલ્બર્ટ સ્વાઇટ્ઝર

.

ઇ.સ. 1905નું ઇતિહાસમાં આગવું મહત્વ છે.

હિંદુસ્તાનમાં અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામને નવી હવા મળી; બંગભંગની ચળવળ સાથે ક્રાંતિના ભારેલા અગ્નિમાં ચિનગારીઓ પ્રગટી ઊઠી.

આપણે હિંદુસ્તાનંથી આપણી નજર યુરોપ તરફ દોડાવીએ.

જર્મનીમાં જન્મેલા બે પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનમાં 1905નું વર્ષ મહત્વપૂર્ણ બની રહ્યું.

બંને નોબેલ પ્રાઇઝ વિનર; બંને મહાન સંગીતકાર બિથોવનના ચાહક; બંને મહાનુભાવોનાં નામ આલ્બર્ટ – એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન; બીજાં આલ્બર્ટ સ્વાઇટ્ઝર.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમણે સમય  (Time) અને અવકાશ (Space) વિશે તેમજ રાશિ (Mass) અને કાર્યશક્તિ (Energy) વચ્ચેના સંબંધ પર સંશોધન કર્યાં; આલ્બર્ટ સ્વાઇટ્ઝર સેવાના ભેખધારી જર્મન ડોકટર જેમણે તત્કાલીન મિશનરી ધ્યેયોને ગૌણ ગણી સાચી ભાવનાથી આફ્રિકાના અંધારા ગેબન -ફ્રેંચ  કોંગો પ્રદેશમાં ગરીબ પ્રજાની રાત-દિન સેવા કરી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ‘સ્પેશ્યલ થિયરી ઓફ રિલેટીવિટી’ ની  પ્રસિદ્ધિના પાયા 1905માં નખાયા.

આલ્બર્ટ સ્વાઇટ્ઝરના જીવનમાં વર્ષ 1905નું આશ્ચર્યજનક મહત્વ છે. ફિલોસોફીમાં અને સંગીત શાસ્ત્રમાં ડોક્ટરેટ ધરાવતા ત્રીસ વર્ષના આલ્બર્ટ સ્વાઇટ્ઝરે થિયોસોફિકલ કોલેજનું પ્રિન્સિપાલપદ છોડી તબીબીવિદ્યા – મેડિસીન – નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો – ઇ. સ. 1905માં.

.

ઇન્ટરનેટ, વર્લ્ડ વાઈડ વેબ અને વિશ્વની પ્રથમ વેબ-સાઇટ

.

ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના પ્રણેતા બ્રિટીશ વૈજ્ઞાનિક સર તિમોથી જહોન બર્નેર્સ-લી (Sir Timothy John Berners-Lee)  છે.

સર ટિમ તરીકે ઓળખાતા ઇંગ્લેંડના વતની એવા ટિમોથી બર્નેર્સ-લી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા (European Organization for Nuclear Research :CERN) માં જોડાયા.  ન્યુલિયર રીસર્ચ અર્થે ડેટાની આપ-લે માટે ટિમોથીને ઇન્ટરનેટ પર કોમ્યુનિકેશનનું તેમજ તે માટે હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ( HyperText Transfer Protocol, HTTP ) નું મહત્વ સમજાયું.

તદ્દન સાદા શબ્દોમાં કહીએ તો, ઇન્ટરનેટ પર બે સર્વર / કોમ્પ્યુટર વચ્ચે ફાઇલ (ડેટા) ની આપ-લે માટે વપરાતી ખાસ પદ્ધતિ HTTP કહેવાય છે.

1989- 90માં ટિમોથીએ HTTPના ઉપયોગથી ક્લાયંટ તથા સર્વર વચ્ચે સફળતાથી ‘કોમ્યુનિકેશન’ કર્યું.

1990- 91માં સર ટિમોથી જહોન બર્નેર્સ-લીએ વિશ્વમાં સૌ પ્રથમ વેબ-પેઈજ (વેબ-સાઈટ) તેમજ ઇન્ટરનેટના પ્રથમ બ્રાઉઝરનું સર્જન કર્યું.

સર ટિમના આ પ્રથમ બ્રાઉઝરનું નામ ‘વર્લ્ડવાઈડવેબ’ (WorldWideWeb, પણ પાછળથી નેક્સસ NEXUS) હતું. આ પ્રાથમિક બ્રાઉઝર માત્ર CERN સાથે સંલગ્ન સર્વર્સ પર જ ચાલતું હતું. પાછળથી કોઈ પણ સર્વર સિસ્ટમ પર, કોઈ પણ કોમ્પ્યુટર પર ચાલે તેવાં નવાં વેબ બ્રાઉઝર્સ ઉપલબ્ધ થતાં વિશ્વભરનાં કોમ્પ્યુટર્સનાં ડોક્યુમેન્ટસ –  ડેટા – ફાઈલ્સની આપ-લે શક્ય બની. પરિણામે, વર્લ્ડ વાઈડ વેબનું નામ બ્રાઉઝર ઉપરાંત બહોળા અર્થમાં વપરાવા લાગ્યું.

અગણિત સર્વર્સ/ કોમ્પ્યુટર્સ પરનાં વેબ-પેઇજ – વેબ-સાઇટસ – ફાઇલ્સ – પરસ્પર સંકળાતાં સર્જાયેલ વિશ્વવ્યાપી ‘વેબ’ માટે ‘વર્લ્ડ વાઈડ વેબ’ નામની સાર્થકતા વિશેષ સિદ્ધ થઈ. 1993માં ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ સૌ કોઇ માટે સાર્વજનિક રીતે નિ:શુલ્ક સુલભ બન્યું.

ઇન્ટરનેટ પર સૌ પ્રથમ વેબ સાઇટ, પ્રથમ વેબ બ્રાઉઝર તેમજ વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web, WWW) ના સર્જનનું શ્રેય બ્રિટીશ સંશોધક ટિમોથી બર્નેર્સ-લીને જાય છે.

.

ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી

.

ઇંગ્લેન્ડ(યુ કે)માં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ શહેરોની યુનિવર્સિટીઓનાં નામ સાથે ભળતું, અમેરિકા(યુએસએ)ના કેમ્બ્રિજ શહેર (બોસ્ટન, મેસેચ્યુસેટ્સ)ની હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ દ્વિધા ઊભી કરે છે.

ઇંગ્લેન્ડ(યુ કે)ની ઓક્સફર્ડ યુનિવર્સિટી (University of Oxford ) વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલતા દેશોની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઇ, તેની આધારભૂત માહિતી નથી. પરંતુ ઠેઠ બારમી સદીમાં પણ તેનું અસ્તિત્વ હતું. આમ, ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરની ઓક્સફર્ડ યુનિવર્સિટી આશરે આઠસો વર્ષ જૂની તો ખરી જ.

ઇસ 1209માં કેટલાક શિક્ષણપ્રેમીઓ ઓક્સફર્ડમાંથી છૂટા પડ્યા.

ઇંગ્લેન્ડની રાજધાની લંડનથી આશરે 80 કિલોમીટર ઉત્તરે કેમ્બ્રિજ શહેરમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી (Cambridge University) ની સ્થાપના કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ શિક્ષણજગતમાં અપ્રતિમ ખ્યાતિ મેળવી.

અમેરિકાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University) છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્ટેટમાં ચાર્લ્સ નદીને એક કિનારે બોસ્ટન શહેર છે, બીજે કિનારે કેમ્બ્રિજ શહેર વસેલ છે. ગ્રેટર બોસ્ટન એરિયાના કેમ્બ્રિજમાં આવેલ હાર્વર્ડ (હાવર્ડ) યુનિવર્સિટી સૌથી પ્રાચીન અમેરિકન યુનિવર્સિટી છે. તેની સ્થાપના 1636માં હાર્વર્ડ નામક એક પાદરીની સ્મૃતિમાં થઇ હતી. અમેરિકાના સદગત પ્રેસિડેન્ટ જહોન કેનેડી તથા વર્તમાન અમેરિકન પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ. બુશ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા.

,

Follow

Get every new post delivered to your Inbox.