‘ઇન્ફોસિસ’ના સ્થાપક નારાયણ મૂર્તિ : સામ્યવાદથી મૂડીવાદ પ્રતિ

.

ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની અગ્રીમ કંપની ‘ઇન્ફોસિસ’ ( Infosys Technologies, Bangalore, India ) અને તેના સ્થાપક નારાયણ મૂર્તિથી “મધુસંચય”ના વાચકમિત્રો પરિચિત હોય જ.

ભારતની આ પ્રતિષ્ઠિત આઇટી કંપની ‘ઇન્ફોસિસ’ (INFOSYS)ની કોર્પોરેટ ઓફિસ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં છે. સોફ્ટવેર એન્જિનિયર શ્રી નારાયણ મૂર્તિ તથા તેમના છ સહયોગીઓ દ્વારા પૂના શહેર (મહારાષ્ટ્ર)માં ઇસ 1981માં ‘ઇન્ફોસિસ’ની સ્થાપના થઇ. આજે ‘ઇન્ફોસિસ’ એવો તો ઝડપી વિકાસ સાધી રહી છે. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ટોચની ત્રણ કંપનીઓ ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ – TCS ), ઇન્ફોસિસ (Infosys) તથા વિપ્રો (WIPRO)  છે.

નારાયણ મૂર્તિનો જન્મ 20 ઓગસ્ટ 1946ના રોજ કર્ણાટક રાજ્યમાં થયો. તેમણે કાનપુર(ઉત્તરપ્રદેશ, ભારત) ના વિશ્વવિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી – IIT ) માંથી એમ. ટેક. ની ડિગ્રી 1969માં મેળવી. સોફ્ટવેર એંજિનિયર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ વિવિધ સંસ્થાઓ / કંપનીઓમાં થયો. અમદાવાદ (ગુજરાત) ના  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ – IIM- A ) માં નારાયણ મૂર્તિએ ચીફ સિસ્ટમ પ્રોગ્રામર તરીકે સેવાઓ આપી. પાછળથી તેમણે સોફ્ટવેર ટેકનોલોજીમાં દેશની જાણીતી કંપની પટણી કોમ્પ્યુટર્સ સિસ્ટમ્સ (પૂના, મહારાષ્ટ્ર)માં ઊંચી પદવી પર જોબ કરી.

પરંતુ નારાયણ મૂર્તિની જિંદગીનો એક મહત્વનો તબક્કો પેરિસ (ફ્રાન્સ) ખાતે યુરોપની મલ્ટીનેશનલ આઇટી કંપની ‘સેસા’ (SESA) ખાતે રહ્યો. એંશીના દાયકાના આરંભકાળે નારાયણ મૂર્તિ સામ્યવાદ (Communism) ના વિચારોથી પ્રભાવિત હતા. સામ્યવાદના સહારે સમાજના બહુવિધ વર્ગોનો ઉદ્ધાર કરવા ઇચ્છતા હતા. ભારે આદર્શવાદી વિચારધારામાં રાચતા પચ્ચીસેક વર્ષના નારાયણ મૂર્તિ ત્યારના યુરોપના કટ્ટર સામ્યવાદી દેશ બલ્ગેરિયા (Bulgaria, Europe) માં ટ્રેઇનમાં પ્રવાસ કરી રહ્યા હતા કોઇ સહપ્રવાસી યુરોપિયન યુવતી સાથે ચર્ચા કરી રહ્યા હતા. વાતવાતમાં યુવતીએ સામ્યવાદી દેશોની દબાય્ર્લી પ્રજાઓની હાલાકીઓની નરી વાસ્તવિકતાઓ વર્ણવી. નારાયણ મૂર્તિ અકળાઈ ગયા અને તેમણે સામ્યવાદી સરકારની માનવ સ્વાતંત્ર્યને કચડતી નીતિઓની ટીકા કરી. બસ, થઇ રહ્યું! સામ્યવાદી દેશમાં તમે મોં કેમ ખોલી શકો? બલ્ગેરિયન પોલિસે તેમની ધરપકડ કરી અને નારાયણ મૂર્તિને ત્રણ-ચાર દિવસ દોઝખ જેવી પોલિસ કસ્ટડીમાં રહેવું પડ્યું !

નારાયણ મૂર્તિએ માનવીની અંગત વિચારધારાને કચડતા, માનવીના સ્વાતંત્ર્યને છીનવી લેતા સામ્યવાદનો મોહ છોડ્યો. તેમણે વિચાર્યું કે મૂડીવાદ (Capitalism) ના માર્ગ  પર ધંધા ઉદ્યોગના વિકાસથી પણ સમાજના વિકાસની તકો વધારી શકાય છે. નારાયણ મૂર્તિના મહાન સ્વપ્ન ‘ઇન્ફોસિસ’નાં બીજ ત્યારે રોપાયાં. 

રશિયાના છેલ્લા ઝાર, રશિયન ક્રાંતિ અને આધુનિક વિજ્ઞાન

.

ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ (Bolshevik Revolution) થી રશિયા (Russia)માં લેનિન (Vladimir Lenin)ના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનનો ઉદય થયો.

રશિયન ક્રાંતિ પહેલાં રશિયામાં સદીઓ સુધી ઝાર (Czar or Tsar) રાજાઓની રાજાશાહી રહી. આખરી રશિયન સમ્રાટ ઝાર નિકોલસ બીજા (Emperor Czar Nicholas II ) એ 1894માં 16 વર્ષની ઉંમરે ગાદી સંભાળી. રશિયામાં 1905માં ક્રાંતિનો પ્રયત્ન થયો જેને કચડવામાં ઝાર નિકોલસને સફળતા મળી. પરંતુ રશિયન પ્રજાના પ્રચંડ વિરોધને વશ થઇ ઝાર નિકોલસ બીજાને 1917માં સત્તાત્યાગ કરવો પડ્યો. લોકપ્રિય મનાતા નવા શાસનકર્તાઓએ પ્રજાતંત્ર સ્થાપવા નિષ્ફળ પ્રયત્નો કર્યા.

1917માં રશિયામાં લેનિનની સરદારી નીચે બોલ્શેવિક ક્રાંતિ થઈ જેમાં કેરેંસ્કીની સરકારને ઉથલાવવામાં આવી. 1918ની 17મી જુલાઇની રાત્રે ઝાર નિકોલસ બીજા, તેમનાં પત્ની, ચાર યુવાન પુત્રીઓ અને બાળ રાજકુમારને એક સાથે ઠાર મારવામાં આવ્યાં. આમ, રશિયામાં સમ્રાટ નિકોલસ બીજાના રાજકુટુંબની હત્યાથી ઝારશાહીનો અંત આવ્યો. રશિયન ક્રાંતિ (Russian Revolution) પછી રશિયામાં લેનિનના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકાર સત્તા પર આવી.

જો કે હમણાં સુધી રાજકુટુંબની હત્યા વિશે પ્રશ્નો ઊઠતા રહ્યા. કેટલાંક વર્ષ પહેલાં રાજકુટુંબના સભ્યોના કહેવાતા અવશેષો મળી આવ્યા. આધુનિક વિજ્ઞાનની મદદ લેવાઇ.  છેલ્લા બે વર્ષમાં અમેરિકા, યુકે અને રશિયાના વૈજ્ઞાનિકોએ ભારે જહેમત કરી. ડીએનએ (DNA) ટેસ્ટથી તે અવશેષો ઝાર નિકોલસ બીજાના રાજપરિવારના હોવાનું પુરવાર થયું. આધુનિક વિજ્ઞાનની કરામાતી પ્રગતિથી નેવું વર્ષ પછી રશિયન રાજકુટુંબની હત્યા પુરવાર થઈ શકી.

.

ટપાલ ટિકિટ, ફિલાટેલી અને ફિલિપ ફેરારી

આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા (પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે. ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. છતાં, આજકાલ ટપાલ ટિકિટ સંગ્રહના શોખ / કલાને ફિલાટેલી તથા ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે.

વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ (ગુંદર લગાડેલ એડહેસિવ પોસ્ટલ સ્ટેમ્પ) બહાર પાડનાર દેશ જેને આપણે સામાન્ય રીતે ઇંગ્લેંડ કહીએ છે તે દેશ યુકે (યુનાઇટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન એંન્ડ આયર્લેંડ) હતો.

1840માં ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) ની ટપાલ ટિકિટ “પેની બ્લેક” તે જગતની સર્વ પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ. દુનિયાની તે પહેલી ટપાલ ટિકિટ પર ઇંગ્લેંડનાં રાજકુમારી પ્રિંસેસ વિક્ટોરિયા (જે પાછળથી ક્વિન વિક્ટોરિયા તરીકે ઇંગ્લેંડનાં મહારાણી બની ગાદી પર આવ્યાં)નો ચહેરો અંકિત હતો. એક પેનીની કિંમતની પ્રિન્સેસ વિક્ટોરિયાની આ સ્ટેમ્પ બ્લેક રંગમાં છપાયેલી હોવાથી ‘પેની બ્લેક’ના નામથી જાણીતી થઈ. ત્યાર બાદ 1843માં બ્રાઝિલ, 1845-47 દરમ્યાન અમેરિકા (યુએસએ) તથા 1847માં ફ્રાંસમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.

ભારત (તત્કાલીન બ્રિટીશ રાજ હેઠળના હિંદુસ્તાન) માં સર્વ પ્રથમ ટપાલ ટિકિટ ઉત્તર હિંદુસ્તાનના સિંધ પ્રાંતમાં 1852માં બહાર પડી. આમ, ટપાલ ટિકિટ બહાર પાડનાર ભારત એશિયા ખંડનો સૌથી પહેલો દેશ બન્યો. પોસ્ટલ સર્વિસીઝનો વ્યાપ વધતાં પોસ્ટેજ સ્ટેમ્પ્સનો બહોળો ઉપયોગ થતો ગયો. જુદા જુદા દેશો ભાતભાતની રંગબેરંગી ટિકિટો બહાર પાડવા લાગ્યા. સાથે લોકોમાં ટિકિટ સંગ્રહનો શોખ જાગતો ગયો.

ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો ટિકિટ સંગ્રહ બેનમૂન હતો અને આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી (1850-1917)નો જન્મ પેરિસ (ફ્રાંસ)માં, પણ પેરિસમાં રહેવા છતાં પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. કિશોર વયથી તેમણે ટિકિટ સંગ્રહ શરૂ કર્યો. થોડા  દાયકાઓમાં અગણિત દુર્લભ ટિકિટો સાથે તેમનો ટિકિટ સંગ્રહ અનોખો બની રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.

.

વ્હાઈટ હાઉસ અને અમેરિકાના પ્રેસિડેન્ટ

 

પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશ્વની ‘મહાસત્તા’ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના 44મા પ્રમુખ તરીકે ચુંટાયા પછી વ્હાઇટ હાઉસ સમાચારોમાં ચમકતું રહે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના પ્રમુખ (અમેરિકન પ્રેસિડેન્ટ – The President : United States of America )નું સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસ કહેવાય છે. વ્હાઇટ હાઉસ (The White House, Washington D.C.,  USA ) અમેરિકાના ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં પોટોમેક નદીને કાંઠે વસેલા વોશિંગ્ટન શહેરમાં સ્થિત છે. વોશિંગ્ટન (ડીસી)માં વ્હાઇટ હાઉસના નિર્માણનો શ્રેય પ્રથમ યુ એસ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન (George Washington 1732 – 1799) ને જાય છે. અમેરિકન લોકશાહીના પ્રતીક સમા આ  નિવાસસ્થાનનું ખાતમુહૂર્ત 13 ઓક્ટોબર, 1792ના રોજ થયું.

આઠ વર્ષે તૈયાર થયેલ વ્હાઇટ હાઉસમાં રહેનાર પ્રથમ પ્રેસિડેન્ટ જહોન એડમ્સ (દ્વિતીય અમેરિકન પ્રમુખ) હતા. 1879માં વ્હાઇટ હાઉસમાં ટેલિફોન આવ્યો. નેવું વર્ષ સુધી અંધારામાં રહેલ વ્હાઇટ હાઉસ 1891માં ઇલેક્ટ્રિક પાવરથી પ્રકાશિત થયું ત્યારે અમેરિકાના ત્રેવીસમા પ્રમુખ બેંજામિન હેરિસન ત્યાં નિવાસિત હતા. પ્રમુખ હેરિસન અને તેમનાં પત્ની ઇલેક્ટ્રિક શોકથી ડરીને સ્વીચને હાથ પણ ન લગાડતાં !!

132 રૂમના આ ભવ્ય મહાલયમાં ‘બ્લ્યુ રૂમ’નું મહત્વ અનોખું છે, જ્યાં પ્રમુખ વીઆઇપી મુલાકાતીઓને આવકારે છે. અશ્વેત નેતા પ્રેસિડેંટ ઓબામા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ના પ્રમુખ તરીકે ચુંટાયા પછી વિશ્વની આશાભરી મીટ વ્હાઇટ હાઉસ પર છે.

મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય

.

મહાયોગી શ્રી અરવિંદના પ્રતિભાવાન શિષ્યોમાં શ્રી દિલીપકુમાર રાય (1897 – 1980) નું નામ પ્રથમ પંક્તિમાં આવે.

કુશાગ્ર બુદ્ધિપ્રતિભાસંપન્ન દિલીપકુમાર રાય ઉમદા વક્તા, મધુર ગાયક અને પ્રખર સંગીતજ્ઞ હોવા ઉપરાંત મહાતેજસ્વી સાધક તેમજ ચિંતનશીલ વિચારક હતા.

તેમના દાદા બંગાળાના વિખ્યાત ગાયક હતા. તેમના પિતા દ્વિંજેન્દ્રલાલ રાય ગાયક અને સંગીતજ્ઞ હોવા ઉપરાંત બંગાળી ભાષાના પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર હતા. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દ્વિજેન્દ્રલાલ રાયે વિલાયત જઈને ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.  દિલીપકુમારના નાનાજી ડોક્ટર હતા અને તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતિમ દિવસોમાં તેમની ચિકિત્સા કરી હતી. બાળપણમાં દિલીપકુમારને ત્યાં મેધાવી વિદ્વાનોની બેઠકો થતી રહેતી અને જ્ઞાનચર્ચા થતી. સ્વાભાવિક છે કે આવા તેજોમય પરિવારનું ફરજંદ પણ પ્રતિભામાન બને.  

બારેક વર્ષની ઉંમરે  તેમને શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતેવાસી ભક્ત શ્રી ‘મ’નાં માર્ગદર્શન અને આશિષ મળ્યાં.  (શ્રી ‘મ’ એટલે મહેન્દ્રનાથ ગુપ્ત, કલકત્તા-કોલકતા-ના મોર્ટન ઇન્સ્ટિટ્યુશનના વિદ્વાન હેડમાસ્ટર. તેમની વિસ્તૃત નોંધપોથીઓ પરથી ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પ્રગટ થયું)  બાળક દિલીપકુમાર રાયે દક્ષિણેશ્વર જઈ પૂજ્ય શારદામણિમાના પ્રત્યક્ષ દર્શન કરી આશીર્વાદ લીધા.

તેમણે સોળ વર્ષની ઉંમરે ગણિત અને સંસ્કૃતમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી મેટ્રિકની પરીક્ષા પસાર કરી. કોલેજમાં દિલીપકુમારને સહાધ્યાયી અને પરમ મિત્ર તરીકે સુભાષચંદ્ર બોઝનો ગાઢ પરિચય થયો. કોલેજકાળમાં તેમને મહાન સંત રાખાલ મહારાજનો સત્સંગ થયો.

દિલીપકુમાર મેથ્સમાં ઑનર્સ સાથે વિજ્ઞાનના સ્નાતક થયા અને 1919માં ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત પહોંચ્યા. તેમનો હેતુ વિશ્વવિખ્યાત કેમ્બ્રિજમાં અભ્યાસ કરવાનો તથા આઇસીએસ પરીક્ષા પાસ કરવાનો હતો. પણ કલા અને તત્વચિંતનના રંગે રંગાયેલા દિલીપકુમાર કેમ્બ્રિજનો અભ્યાસ છોડીને યુરોપમાં ત્રણેક વર્ષ ભ્રમણ કરતા રહ્યા.

માત્ર પચ્ચીસ વર્ષની ઉંમર પૂરી કરતાં પહેલાં તો દિલીપકુમાર ‘જ્યોં ક્રિસ્તોફ’ના કર્તા મહાન ફ્રેંચ લેખક રોમાં રોલાં, ‘સિદ્ધાર્થ’ના સિદ્ધહસ્ત સર્જક હેર્માન હેસ અને  વિશ્વપ્રસિદ્ધ ગણિતજ્ઞ અને વિચારક-ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલની સાથે વાર્તાલાપો કરી ચૂક્યા હતા.

દિલીપકુમાર રાય કંઠ્ય અને વાદ્ય સંગીતમાં નિપૂણ હતા. યુરોપમાં  તેમણે સંગીતના ઘણા કાર્યક્રમો પણ આપેલા.

1924માં દિલીપકુમાર રાય પ્રથમ વખત પોંડિચેરી આશ્રમમાં મહાયોગી શ્રી અરવિંદને મળ્યા. બસ, તેમની જીવનદ્રષ્ટિ બદલાતી ગઈ.

અધ્યાત્મમાર્ગે રંગાયેલા દિલીપકુમાર રાયને મહર્ષિ મહાયોગી શ્રી અરવિંદ, માતાજી, સ્વામી યોગાનંદ, રમણ મહર્ષિ, મા આનંદમયી, પપા રામદાસ, રાખાલ મહારાજ, અલ્મોડાના સંત યોગી કૃષ્ણપ્રેમ, યશોદામા આદિ પૂજનીય સંત-વિભૂતિઓનો સત્સંગલાભ મળેલો અને કૃપા-આશિષ મળેલાં.

ઉપરાંત દિલીપકુમાર રાયે મહાત્મા ગાંધી, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, પંડિત મદનમોહન માલવિયાજી આદિ ભારતીય અને મહાન અણુવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ઇંગ્લેન્ડના વિચારક અને ગણિતજ્ઞ બર્ટ્રાન્ડ રસેલ, ફ્રેંચ લેખક-ફિલોસોફર રોમાં રોલાં, જર્મન લેખક હેરમાન હેસ, અન્વેષક-સાધક પોલ રિશાર અને ફ્રેડરિક સ્પિલબર્ગ જેવા વિશ્વવિખ્યાત મહાનુભાવોના સાન્નિધ્યને માણ્યું છે.

દિલીપકુમાર રાય બંગાળી-હિંદી ઉપરાંત અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન આદિ ભાષાઓ જાણતા. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. દિલીપકુમાર રાયનો અંગ્રેજી ગ્રંથ ‘Pilgrims of the Stars’ અમેરિકા અને યુરોપમાં ભારે પ્રસિદ્ધિ પામ્યો છે. તે પુસ્તકનો અનુવાદ જર્મન, પોર્ટુગિઝ, ફ્રેંચ અને સ્પેનિશ ભાષાઓમાં થયેલો છે. આ પુસ્તક ‘અનંતના યાત્રીઓ‘ નામથી ગુજરાતીમાં અનુવાદિત થયેલ છે. દિલીપકુમાર રાયનો એક અદભુત બંગાળી ગ્રંથ ‘અઘટન આજો ઘટે’ ગુજરાતીમાં ‘ચમત્કારો આજે પણ બને છે’ નામે પ્રગટ થયેલો છે. *

રોઝેટા સ્ટોન અને નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ

.

એક નાનકડો પથ્થર ઇતિહાસનાં અદભુત રહસ્યોને ખોલનાર ચાવી બની શકે?

હા, તેનું નામ છે રોઝેટા સ્ટોન (Rosetta Stone).

ઇજિપ્તની નાઇલ નદીના કિનારે હજારો વર્ષ પહેલાં મિસર (ઇજિપ્ત)ની સભ્યતા વિકસી હતી.

દુનિયાની એક પ્રાચીનતમ સંસ્કૃતિ તે નાઇલ કિનારાની મિસરની સભ્યતા.

નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ ચિત્રલિપિઓમાં સચવાયેલો છે. દાયકાઓ સુધી આ ચિત્રલિપિઓને ઉકેલવા પુરાતત્વવિદો મથતાં રહ્યાં.

ઇસ 1799માં ઇજિપ્તના ભૂમધ્ય સમુદ્ર કિનારા પરથી એક પથ્થર હાથ લાગ્યો. ભૂખરા-કાળા રંગના આ પથ્થરની ઊંચાઈ સાડા ત્રણ-પોણા ચાર ફૂટ, પહોળાઈ અઢી ફૂટ, જાડાઈ માંડ એકાદ ફૂટ! સાડા સાતસો કિલો વજનના આ પથ્થર પર ત્રણ ભાષા-લિપિઓમાં લખાણ મળ્યું – ક્લાસિકલ ગ્રીક લિપિ, પ્રાચીન ઇજિપ્શિયન ડેમોટિક લિપિ અને ભારે અટપટી અને વણઉકલી મિસરની ચિત્રલિપિ.

આ પથ્થર રોઝેટા સ્ટોન તરીકે ખૂબ જાણીતો થયો.

તેની ચિત્રલિપિને ઉકેલવા પુરાતત્વવેત્તા-ભાષાશાસ્ત્રીઓએ મોટા પાયે પ્રયત્નો શરૂ કર્યા. 1822માં એક બ્રિટીશ વૈજ્ઞાનિક તથા બીજા એક ફ્રેંચ વિદ્વાને રોઝેટા સ્ટોનની ચિત્રલિપિને ઉકેલી. આમ થતાં મિસર સંસ્કૃતિની ચિત્રલિપિઓનો ભેદ ખુલ્લો થયો.

પછી તો નાઇલ કિનારાની પ્રાચીન મિસર સભ્યતાનાં ઇતિહાસનાં કેટલાંયે રહસ્યો ખુલ્લાં થયાં. * **

**  *

ભારતની અવકાશવિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ: ‘ચંદ્રયાન’થી આરંભાતું ‘મૂન-મિશન’

.

આજે 22મી ઓક્ટોબર, 2008ને બુધવારે સવારે આશરે 6.22 વાગ્યે ભારતનું ‘ચંદ્રયાન-1′ (Chandrayaan – 1) ચંદ્રની સફરે જવા ઉપડી ચૂક્યું છે.

દક્ષિણ ભારતના શ્રીહરિકોટા લોંચિંગ સ્ટેશન ખાતેથી પીએસએલવી (PSLV – Polar Satellite Launch Vehicle) રોકેટની મદદથી લોંચ થયેલ ‘ચંદ્રયાન-1′થી ભારતના પ્રથમ માનવરહિત મૂન મિશનનો આરંભ થયો છે.

જ્યારે ‘ચંદ્રયાન-1′ ચંદ્રની ભ્રમણકક્ષામાં ઘૂમવા લાગશે, ત્યારે તેમાંથી નાનકડો ભારતીય ઉપગ્રહ એમઆઇપી (Moon Impact Probe) ચંદ્રની ધરતી પર ઉતરશે. તે સાથે ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર પહોંચશે. અમેરિકા, રશિયા અને જાપાન – ત્રણ દેશો પછી ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ મૂકનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે. ઇસરો (ઇસ્રો) ના નામે ઓળખાતી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO – Indian Space Research Organisation) ના ઉપક્રમે છોડાયેલ ‘ચંદ્રયાન-1′ લગભગ બે વર્ષ સુધી ચંદ્રને ભ્રમણ કરતાં રહીને ચંદ્ર વિશે મહત્વની માહિતી મોકલશે. ચંદ્રની સપાટીનો અભ્યાસ, તેનાં બંધારણીય તત્ત્વો અને મિનરલ્સની જાણકારી, યુરેનિયમ – 3 જેવા તત્ત્વોના પ્રમાણની ચકાસણી, ચંદ્રના ભૂપૃષ્ઠનો ત્રિ-પરિમાણીય નકશો તૈયાર કરવો ઇત્યાદિ મૂન મિશનનાં મૂળભૂત હેતુઓ છે.

આ પછી 2010માં રશિયાના સહયોગથી ‘ચંદ્રયાન-2′ને  મોકલવા માટેનું આયોજન ઇસરો કરી રહ્યું છે. આ મૂન મિશનોના ખર્ચ અને વૈજ્ઞાનિક હેતુઓ વિશે વિવાદો ઊઠવા છતાં ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોની આ મહાન ઉપલબ્ધિ બિરદાવવા લાયક છે.

‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો આ ઉપલબ્ધિને જરૂરથી વધાવી લેશે.

.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન તથા આલ્બર્ટ સ્વાઇટ્ઝર

.

ઇ.સ. 1905નું ઇતિહાસમાં આગવું મહત્વ છે.

હિંદુસ્તાનમાં અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામને નવી હવા મળી; બંગભંગની ચળવળ સાથે ક્રાંતિના ભારેલા અગ્નિમાં ચિનગારીઓ પ્રગટી ઊઠી.

આપણે હિંદુસ્તાનંથી આપણી નજર યુરોપ તરફ દોડાવીએ.

જર્મનીમાં જન્મેલા બે પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનમાં 1905નું વર્ષ મહત્વપૂર્ણ બની રહ્યું.

બંને નોબેલ પ્રાઇઝ વિનર; બંને મહાન સંગીતકાર બિથોવનના ચાહક; બંને મહાનુભાવોનાં નામ આલ્બર્ટ – એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન; બીજાં આલ્બર્ટ સ્વાઇટ્ઝર.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમણે સમય  (Time) અને અવકાશ (Space) વિશે તેમજ રાશિ (Mass) અને કાર્યશક્તિ (Energy) વચ્ચેના સંબંધ પર સંશોધન કર્યાં; આલ્બર્ટ સ્વાઇટ્ઝર સેવાના ભેખધારી જર્મન ડોકટર જેમણે તત્કાલીન મિશનરી ધ્યેયોને ગૌણ ગણી સાચી ભાવનાથી આફ્રિકાના અંધારા ગેબન -ફ્રેંચ  કોંગો પ્રદેશમાં ગરીબ પ્રજાની રાત-દિન સેવા કરી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ‘સ્પેશ્યલ થિયરી ઓફ રિલેટીવિટી’ ની  પ્રસિદ્ધિના પાયા 1905માં નખાયા.

આલ્બર્ટ સ્વાઇટ્ઝરના જીવનમાં વર્ષ 1905નું આશ્ચર્યજનક મહત્વ છે. ફિલોસોફીમાં અને સંગીત શાસ્ત્રમાં ડોક્ટરેટ ધરાવતા ત્રીસ વર્ષના આલ્બર્ટ સ્વાઇટ્ઝરે થિયોસોફિકલ કોલેજનું પ્રિન્સિપાલપદ છોડી તબીબીવિદ્યા – મેડિસીન – નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો – ઇ. સ. 1905માં.

.

ઇન્ટરનેટ, વર્લ્ડ વાઈડ વેબ અને વિશ્વની પ્રથમ વેબ-સાઇટ

.

ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના પ્રણેતા બ્રિટીશ વૈજ્ઞાનિક સર તિમોથી જહોન બર્નેર્સ-લી (Sir Timothy John Berners-Lee)  છે.

સર ટિમ તરીકે ઓળખાતા ઇંગ્લેંડના વતની એવા ટિમોથી બર્નેર્સ-લી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા (European Organization for Nuclear Research :CERN) માં જોડાયા.  ન્યુલિયર રીસર્ચ અર્થે ડેટાની આપ-લે માટે ટિમોથીને ઇન્ટરનેટ પર કોમ્યુનિકેશનનું તેમજ તે માટે હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ( HyperText Transfer Protocol, HTTP ) નું મહત્વ સમજાયું.

તદ્દન સાદા શબ્દોમાં કહીએ તો, ઇન્ટરનેટ પર બે સર્વર / કોમ્પ્યુટર વચ્ચે ફાઇલ (ડેટા) ની આપ-લે માટે વપરાતી ખાસ પદ્ધતિ HTTP કહેવાય છે.

1989- 90માં ટિમોથીએ HTTPના ઉપયોગથી ક્લાયંટ તથા સર્વર વચ્ચે સફળતાથી ‘કોમ્યુનિકેશન’ કર્યું.

1990- 91માં સર ટિમોથી જહોન બર્નેર્સ-લીએ વિશ્વમાં સૌ પ્રથમ વેબ-પેઈજ (વેબ-સાઈટ) તેમજ ઇન્ટરનેટના પ્રથમ બ્રાઉઝરનું સર્જન કર્યું.

સર ટિમના આ પ્રથમ બ્રાઉઝરનું નામ ‘વર્લ્ડવાઈડવેબ’ (WorldWideWeb, પણ પાછળથી નેક્સસ NEXUS) હતું. આ પ્રાથમિક બ્રાઉઝર માત્ર CERN સાથે સંલગ્ન સર્વર્સ પર જ ચાલતું હતું. પાછળથી કોઈ પણ સર્વર સિસ્ટમ પર, કોઈ પણ કોમ્પ્યુટર પર ચાલે તેવાં નવાં વેબ બ્રાઉઝર્સ ઉપલબ્ધ થતાં વિશ્વભરનાં કોમ્પ્યુટર્સનાં ડોક્યુમેન્ટસ –  ડેટા – ફાઈલ્સની આપ-લે શક્ય બની. પરિણામે, વર્લ્ડ વાઈડ વેબનું નામ બ્રાઉઝર ઉપરાંત બહોળા અર્થમાં વપરાવા લાગ્યું.

અગણિત સર્વર્સ/ કોમ્પ્યુટર્સ પરનાં વેબ-પેઇજ – વેબ-સાઇટસ – ફાઇલ્સ – પરસ્પર સંકળાતાં સર્જાયેલ વિશ્વવ્યાપી ‘વેબ’ માટે ‘વર્લ્ડ વાઈડ વેબ’ નામની સાર્થકતા વિશેષ સિદ્ધ થઈ. 1993માં ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ સૌ કોઇ માટે સાર્વજનિક રીતે નિ:શુલ્ક સુલભ બન્યું.

ઇન્ટરનેટ પર સૌ પ્રથમ વેબ સાઇટ, પ્રથમ વેબ બ્રાઉઝર તેમજ વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web, WWW) ના સર્જનનું શ્રેય બ્રિટીશ સંશોધક ટિમોથી બર્નેર્સ-લીને જાય છે.

.

ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી

.

ઇંગ્લેન્ડ(યુ કે)માં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ શહેરોની યુનિવર્સિટીઓનાં નામ સાથે ભળતું, અમેરિકા(યુએસએ)ના કેમ્બ્રિજ શહેર (બોસ્ટન, મેસેચ્યુસેટ્સ)ની હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ દ્વિધા ઊભી કરે છે.

ઇંગ્લેન્ડ(યુ કે)ની ઓક્સફર્ડ યુનિવર્સિટી (University of Oxford ) વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલતા દેશોની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઇ, તેની આધારભૂત માહિતી નથી. પરંતુ ઠેઠ બારમી સદીમાં પણ તેનું અસ્તિત્વ હતું. આમ, ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરની ઓક્સફર્ડ યુનિવર્સિટી આશરે આઠસો વર્ષ જૂની તો ખરી જ.

ઇસ 1209માં કેટલાક શિક્ષણપ્રેમીઓ ઓક્સફર્ડમાંથી છૂટા પડ્યા.

ઇંગ્લેન્ડની રાજધાની લંડનથી આશરે 80 કિલોમીટર ઉત્તરે કેમ્બ્રિજ શહેરમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી (Cambridge University) ની સ્થાપના કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ શિક્ષણજગતમાં અપ્રતિમ ખ્યાતિ મેળવી.

અમેરિકાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University) છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્ટેટમાં ચાર્લ્સ નદીને એક કિનારે બોસ્ટન શહેર છે, બીજે કિનારે કેમ્બ્રિજ શહેર વસેલ છે. ગ્રેટર બોસ્ટન એરિયાના કેમ્બ્રિજમાં આવેલ હાર્વર્ડ (હાવર્ડ) યુનિવર્સિટી સૌથી પ્રાચીન અમેરિકન યુનિવર્સિટી છે. તેની સ્થાપના 1636માં હાર્વર્ડ નામક એક પાદરીની સ્મૃતિમાં થઇ હતી. અમેરિકાના સદગત પ્રેસિડેન્ટ જહોન કેનેડી તથા વર્તમાન અમેરિકન પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ. બુશ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા.

,

એરોપ્લેન તથા એરલાઇન્સની દુનિયા

.

અમેરિકાના રાઈટ ભાઈઓ ( વિલ્બર રાઈટ, ઓરવિલે રાઈટ – રાઈટ બ્રધર્સ, યુ એસ એ) એ ઇ.સ. 1903માં વિશ્વમાં પ્રથમ વખત હવામાં સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું. (The first sustained and controlled heavier-than-air powered flight by Wright brothers, USA ).

અમેરિકાના કિટી હોક ટાઉનમાં રાઈટ ભાઈઓએ દુનિયાનું પ્રથમ વિમાન – એરોપ્લેન (!) – ઉડાડ્યું. ડિસેમ્બર 17, 1903ના રોજ ગ્લાઈડર પ્રકારના “રાઈટ ફ્લાયર” (ફ્લાયર-1 કે કિટી હોક) વિમાનમાં વિલ્બર રાઈટની પ્રથમ હવાઈ યાત્રા થઈ. વિશ્વની આ પ્રથમ હવાઈયાત્રા માત્ર જુજ સેકંડ ચાલી! વિલ્બર રાઈટના આ ટચૂકડા વિમાને માત્ર એકસો વીસ ફૂટનું અંતર કાપ્યું. વિચારો! આજના આધુનિક એરોપ્લેનની લંબાઈ બસો – અઢીસો ફૂટથી વધુ હોય છે!

રાઈટ બ્રધર્સના “રાઈટ ફ્લાયર” (કિટી હોક) સાહસે હવાઈ સફરના યુગના શ્રીગણેશ કર્યા.

રાઈટ બ્રધર્સના ટચૂકડા “રાઈટ ફ્લાયર” પછી વિવિધ એરોપ્લેન્સ બનતાં ગયાં.

એરોપ્લેન બનાવતી કંપનીઓ – બોઇંગ, મેકડોનેલ ડગ્લાસ, એરબસ વગેરે – અસ્તિત્વમાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ (પહેલું વિશ્વયુદ્ધ 1914 – 1918) ના સમયે 1916માં સ્થપાયેલ બોઈંગ કંપની 1970માં તેના જંબો જેટ બોઈંગ-747થી ભારે પ્રતિષ્ઠા પામી. અમેરિકાની બોઈંગ કંપની આજે વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ કંપની છે.

વિશ્વની પ્રથમ એરલાઈન DELAG જર્મનીમાં 1909માં સ્થપાઈ હતી. વીસમી સદીના આરંભે અમેરિકા અને યુરોપમાં શરૂ થયેલી ઘણી ખરી એરલાઈનર કંપનીઓ માલવહન – કાર્ગો ટ્રાન્સપોર્ટ – ની કામગીરી અર્થે હતી.

વિશ્વની સૌથી જૂની એરલાઈન્સમાં નેધરલેન્ડસની KLM (કેએલએમ – રોયલ ડચ એરલાઈન્સ) અને ઓસ્ટ્રેલિયાની QANTAS આજે પણ કાર્યરત છે. લગભગ તે જ સાથે સ્થપાયેલી કોલંબિયાની Avianca અને મેક્સિકોની Mexicana ને દુનિયાની પ્રારંભિક એરલાઈન્સ તરીકે બહુ ઓછા લોકો જાણે છે. ગઈ સદીમાં ગાજતી રહેલી એરલાઈન્સ BOAC, TWA અને PANAM અન્ય કંપનીમાં વિલય પામી કે રૂપાંતરિત થઈ નામશેષ થયેલ છે.

* * * * *** * *

રિલાયન્સના મુકેશ અંબાણીનું નવું નિવાસસ્થાન

.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામ્રાજ્યના કર્ણધાર મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે મુંબઈમાં ભવ્ય નિવાસસ્થાન બનાવી રહ્યા છે.

હાલમાં અંબાણી પરિવાર મુંબઈમાં વૈભવી કફ પરેડ વિસ્તારમાં 14 માળના ‘સી વિંડ’ બિલ્ડિંગમાં રહે છે.

મુકેશ અંબાણી નું નવું નિવાસસ્થાન ‘એન્ટિલા‘ દક્ષિણ મુંબઈના શાનદાર અલ્ટામાઉન્ટ રોડ પર બની રહ્યું છે. આ નિવાસસ્થાન 25 બિલિયન ડોલરના રિલાયન્સ સામ્રાજ્યના માલિકને છાજે તેવું ભવ્ય બનશે. નીચેની માહિતી અંબાણી પરિવારના ‘એન્ટિલા’ની ભવ્યતાનો ચિતાર આપે છે:

  • પ્લોટ એરિયા આશરે 49,000 ચોરસ ફૂટ
  • તે વિસ્તારમાં જમીનનો વર્તમાન ભાવ આશરે રૂ. 70,000+ પ્રતિ ચોરસ ફૂટ
  • 27 માળનું નિવાસસ્થાન
  • નિવાસસ્થાનની ઊંચાઈ આશરે 560+ ફૂટ
  • ચાર ફ્લોર અંબાણી પરિવારના અંગત ઉપયોગ માટે
  • બે ફ્લોર મહેમાનો માટે
  • ટેરેસ પર હેલિપેડ
  • એક ફ્લોર હેલિકોપ્ટર્સના કંટ્રોલ રૂમ માટે
  • આંખો ઠારે તેવા ટેરેસ ગાર્ડન્સ
  • સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ-જિમ્નેશિયમ, બોલ રૂમ અને મિની થિયેટરની સગવડ
  • છ ફ્લોર પર 150+ કાર માટે પાર્કિંગ તથા ગેરેજની સગવડ
  • નિવાસસ્થાનના 600 જેટલા કર્મચારીઓને રહેવા માટે અલાયદા ફ્લોર
  • નિવાસસ્થાનનો અંદાજિત ખર્ચ 4000 કરોડ રૂપિયા (બિનસત્તાવાર અંદાજ) ??

2012નું વર્ષ: પૃથ્વીનો પ્રલય? માનવસભ્યતાનો નાશ?

.
વર્ષ 2012માં પૃથ્વીના જીવનના નાશની આગાહીઓ ટીવી ચેનલો પર ચમકી રહી છે.

2012ના ડિસેમ્બરમાં વિનાશકારી પરિવર્તનો દુનિયા નષ્ટ કરી દેશે તેવી વાતો હવામાં છે.

21/12/2012ના પૃથ્વીના પ્રલયની વાતોનું મૂળ મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિના ઇતિહાસમાં છે.

ઈપૂ 250 અને ઈસ 900 વચ્ચેનાં લગભગ સાડા બારસો વર્ષો સુધી માયા સંસ્કૃતિ ભલીભાંતિ પાંગરી. સ્થાપત્ય અને ખગોળ જેવાં ક્ષેત્રોમાં માયા જાતિના લોકોએ અચંબો થાય તેવી પ્રગતિ કરી. તેમણે લેખનપદ્ધતિઓ વિકસાવી.

વિશિષ્ટ લિપિ દ્વારા માયા સંસ્કૃતિનો ઇતિહાસ શિલાલેખો પર તથા વૃક્ષોની છાલનાં પુસ્તકોમાં લખાતો ગયો. આવાં ઘણાં પુસ્તકો લખાયાં. માયા સંસ્કૃતિ સોળમી સદીમાં યુરોપથી થયેલ સ્પેનના આક્રમણ તળે રગદોળાઈ ગઈ. કિમતી પુસ્તકો નાશ પામ્યાં.

તેમાંથી બચેલાં માત્ર ચાર ‘કોડેક્સ’ પુસ્તકો ઉપલબ્ધ છે. તેમનાં નામ છે : The Dresden Codex, The Madud Codex, The Paris Codex અને The Grolier Codex.

દાયકાઓની જહેમતને અંતે માયા લિપિનાં લખાણો ઉકેલાવા લાગ્યાં છે. તેનાં પર પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં છે.

માયા કેલેંડર પર વિવાદાસ્પદ પુસ્તકો લખનાર એક અમેરિકન લેખક જોઝ આર્ગ્યુએલ (José Argüelles 1939 -) છે.

માયા કેલેંડરની અવધિ ઈસવીસન 2012ના વર્ષમાં ડિસેમ્બર 21 ના રોજ પૂરી થવાની વાત છે. વળી માયા સંસ્કૃતિનાં લખાણોનું અર્થઘટન થયું છે.

તેના આધારે વાતો ચગી છે કે 2012ના વર્ષમાં પ્રલયકારી કુદરતી ઘટનાઓ થશે જેમાં દુનિયાનો, માનવસભ્યતાનો નાશ થશે.

આવી આગાહી શક્ય હોઈ શકે? તેમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય?

આપણી સામાન્ય બુદ્ધિ આ સ્વીકારી શકે તેમ નથી. વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્પષ્ટતા કરી શકે?

*    *  *

ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા

.
ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.

લુમિયેર ભાઈઓએ પોતે શોધેલ સિનેમેટોગ્રાફ ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.

માર્ચ 19, 1895ના રોજ લુમિયેર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.

માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: The exit from the Lumière factories in Lyon.

વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો ડિસેમ્બર 28, 1895ના રોજ પેરિસમાં યોજાયો. આ વાત વિગતે આપ “અનન્યા”ના અંકમાં વાંચી ચૂક્યા છો.

પેરિસના ગ્રાંડ કાફેમાં યોજાયેલ આ શોમાં ત્રીસેક દર્શકો હાજર હતાં.

તેમાંના એક દર્શક હતા જાદુગર મેલિઝ (મેલિએઝ?) (Georges Melies 1861 – 1938).

મેલિઝને લુમિયેર ભાઈઓના સિનેમેટોગ્રાફમાં રસ પડ્યો. તેમણે યંત્ર ખરીદવામાં રસ બતાવ્યો, પરંતુ લુમિયેર ભાઈઓએ સિનેમેટોગ્રાફ વેચવાની ના કહી. લાંબી જહેમત પછી મેલિઝ પોતાનો મુવિ કેમેરા બનાવી શક્યા.

મેલિઝ અવનવી ટેકનિક્સના ઉપયોગથી ફિલ્મો બનાવવા લાગ્યા.

ટ્રીક ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીની સ્પેશિયલ ટેકનિક્સના સંશોધનમાં મેલિઝનું સ્થાન અનોખું છે.

પ્રથમ વિશ્વયુદ્ધના સપાટામાં મેલિઝના કારોબારમાં ઓટ આવતાં તેમણે નાદારી નોંધાવી. પાંચસોથી વધુ ફિલ્મોનું નિર્માણ કરી ફ્રાન્સના ફિલ્મ ઉદ્યોગને ચમકાવનાર મેલિઝ ગુમનામીમાં સરી પડ્યા.

વર્ષો પછી જ્યારે ફ્રાન્સ સરકાર તથા ફ્રેન્ચ ફિલ્મ ઉદ્યોગને તેમનું સન્માન કરવાનું સૂઝ્યું ત્યારે મેલિઝની દેશવ્યાપી ખોજ ચાલી. કહે છે કે કોઈક પર્યટનસ્થાને, કોઈક મનોરંજન પાર્કની બહાર કંગાલ હાલતમાં મેલિઝ કેન્ડી વેચી રહ્યા હતા!!!

બરબાદીના છેલ્લે પગથિયે બેઠેલ ફિલ્મનિર્માતા મેલિઝને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન The Legion of Honor થી નવાજવામાં આવ્યા!

.

યુરોપનો દેશ ફિનલેન્ડ

.

યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી છે.

ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.

ફિનલેન્ડનો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.

ફિનલેન્ડમાં મોબાઇલ ફોનની બોલબાલા છે. દેશના કુલ ટેલિફોન કનેક્શનના 55% જેટલા કનેક્શન મોબાઇલ કનેક્શન્સ છે. ફિનલેન્ડના આશરે 90% જેટલા કુટુંબો પાસે મોબાઇલ કનેક્શન છે.