રશિયાના છેલ્લા ઝાર, રશિયન ક્રાંતિ અને આધુનિક વિજ્ઞાન

.

ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ (Bolshevik Revolution) થી રશિયા (Russia)માં લેનિન (Vladimir Lenin)ના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનનો ઉદય થયો.

રશિયન ક્રાંતિ પહેલાં રશિયામાં સદીઓ સુધી ઝાર (Czar or Tsar) રાજાઓની રાજાશાહી રહી. આખરી રશિયન સમ્રાટ ઝાર નિકોલસ બીજા (Emperor Czar Nicholas II ) એ 1894માં 16 વર્ષની ઉંમરે ગાદી સંભાળી. રશિયામાં 1905માં ક્રાંતિનો પ્રયત્ન થયો જેને કચડવામાં ઝાર નિકોલસને સફળતા મળી. પરંતુ રશિયન પ્રજાના પ્રચંડ વિરોધને વશ થઇ ઝાર નિકોલસ બીજાને 1917માં સત્તાત્યાગ કરવો પડ્યો. લોકપ્રિય મનાતા નવા શાસનકર્તાઓએ પ્રજાતંત્ર સ્થાપવા નિષ્ફળ પ્રયત્નો કર્યા.

1917માં રશિયામાં લેનિનની સરદારી નીચે બોલ્શેવિક ક્રાંતિ થઈ જેમાં કેરેંસ્કીની સરકારને ઉથલાવવામાં આવી. 1918ની 17મી જુલાઇની રાત્રે ઝાર નિકોલસ બીજા, તેમનાં પત્ની, ચાર યુવાન પુત્રીઓ અને બાળ રાજકુમારને એક સાથે ઠાર મારવામાં આવ્યાં. આમ, રશિયામાં સમ્રાટ નિકોલસ બીજાના રાજકુટુંબની હત્યાથી ઝારશાહીનો અંત આવ્યો. રશિયન ક્રાંતિ (Russian Revolution) પછી રશિયામાં લેનિનના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકાર સત્તા પર આવી.

જો કે હમણાં સુધી રાજકુટુંબની હત્યા વિશે પ્રશ્નો ઊઠતા રહ્યા. કેટલાંક વર્ષ પહેલાં રાજકુટુંબના સભ્યોના કહેવાતા અવશેષો મળી આવ્યા. આધુનિક વિજ્ઞાનની મદદ લેવાઇ.  છેલ્લા બે વર્ષમાં અમેરિકા, યુકે અને રશિયાના વૈજ્ઞાનિકોએ ભારે જહેમત કરી. ડીએનએ (DNA) ટેસ્ટથી તે અવશેષો ઝાર નિકોલસ બીજાના રાજપરિવારના હોવાનું પુરવાર થયું. આધુનિક વિજ્ઞાનની કરામાતી પ્રગતિથી નેવું વર્ષ પછી રશિયન રાજકુટુંબની હત્યા પુરવાર થઈ શકી.

.

Leave a Reply