રશિયા, દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ

.

 

.

Russia: Feodor Dostoyevski and “Crime and Punishmnet”

 

રશિયા, દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ

ફિયોદોર દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી). રશિયાના સમર્થ નવલકથાકારો પૈકી એક.

રશિયાના નામ સાથે આપણને ટોલ્સ્ટોયનું સ્મરણ થાય.

ટોલ્સ્ટોયના સાહિત્યમાં શ્રદ્ધાવાદ ઝલકે. તેમાં જીવનસાધનાનો મર્મ અને જીવનકળાની ઝાંખી થાય. તેમની કૃતિઓ આસ્થા, માનવતા, સંવેદના, કરુણાથી દીપી ઊઠે. . ટોલ્સ્ટોયના લેખનમાં જીવન અને ઈશ્વર પ્રત્યેની આસ્થા પ્રગટે છે.

દોસ્તોયેવ્સ્કીની રચનાઓમાં જીવન પ્રત્યે નિરાશાના સૂર પ્રગટે છે. દોસ્તોયેવ્સ્કી ઈશ્વરના અસ્તિત્વ પ્રત્યે શંકિત છે. તેમની રચનાઓમાં માનવજીવનને ખાઈ જતી એકલતા વ્યક્ત થાય છે.

દોસ્તોયેવ્સ્કીની વિચારધારા પર તેમની અંગત વિષાદપૂર્ણ જિંદગીનો પ્રભાવ છે. આવા મહાન સર્જકની જિંદગી વિષમ કટુતાસભર હોય તે કેવી કરુણતા!

દોસ્તોયેવ્સ્કીનો જન્મ 30 ઓક્ટોબર, 1821ના રોજ  મોસ્કોના એક કેથલિક કુટુંબમાં થયો હતો.

તેમના પિતા વિચિત્ર સ્વભાવના ડોક્ટર હતા. પિતા ભારે કડક સ્વભાવના; જડતાભરી શિસ્તના આગ્રહી. સંતાનોને સખતાઈથી રાખે. ખિસ્સાખર્ચી માટે ફૂટી પાઈ આપતા નહીં. દોસ્તોયેવ્સ્કીની બાલ્યાવસ્થા પૈસાના અભાવમાં અને નિષ્ઠુર શિસ્તથી દૂષિત વાતાવરણમાં વીતી.

માતા ભલી હતી પણ દોસ્તોયેવ્સ્કી સોળ વર્ષના થયા ત્યાં માતાનું મૃત્યુ થયું. તેમણે યુવાનીને ઉંબરે પગ મૂક્યો, ત્યાં પોતાની જ એસ્ટેટ પર કામ કરતા મજૂરોએ આક્રોશમાં આવી પિતાની હત્યા કરી.

યુવાન દોસ્તોયેવ્સ્કીએ એંજીનિયરીંગનો અભ્યાસ કર્યો. લેખન પર હાથ અજમાવ્યો. 1846માં તેમનું પુસ્તક પુઅર ફોક ( Poor Folk ) પ્રસિદ્ધ થયું. માનપાન-શોહરત મળતાં જ દોસ્તોયેવ્સ્કીના વર્તનમાં ઘમંડ અને ઉદ્ધતાઈ આવ્યાં હવે તેમને રાજકારણનો રંગ લાગ્યો. તેમના તેજાબી મંતવ્યો રશિયાના શાસકોને દઝાડી ગયા.

તેમને ચાર વર્ષની સાઈબીરિયા ખાતે દેશનિકાલની સજા થઈ. ગાત્રો ગળી જાય તેવી વિષમતાઓ વચ્ચે તેમણે સાઈબીરિયાની સજા ભોગવી.

તે પછી મારિયા નામક એક વિધવા સ્ત્રી સાથે લગ્ન કર્યાં. તેમણે ફ્રાંસ, ઈંગ્લેંડ, ઈટલી, જર્મની આદિ દેશોનો પ્રવાસ કર્યો.

1864માં પત્ની ટી.બી.માં મૃત્યુ પામી. તે વર્ષમાં તેમણે પ્રેમાળ ભાઈ ઉપરાંત પ્રિય મિત્ર પણ ગુમાવ્યાં. દોસ્તોયેવ્સ્કી ઝઝૂમતા રહ્યા. લેખનકાર્ય જારી રાખ્યું. છતાં 45 વર્ષની ઉંમરે તો ભારે દેવામાં ડૂબી ગયા.

આ સંકટના સમયે તેમની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ લખાઈ. હપ્તાવાર છપાયેલી આ નવલકથાએ તેમને દેવાંમાંથી બહાર આવવામાં મદદ કરી.

1867માં તેમના બીજાં લગ્ન થયાં. તેમની બીજી પત્નીનું નામ હતું અન્ના. અન્નાએ વફાદારીપૂર્વક, પ્રેમપૂર્વક દોસ્તોયેવ્સ્કીનો સાથ નિભાવ્યો. આર્થિક સમસ્યાઓ તેમને વળગેલી જ રહી.

1881 જાન્યુઆરીમાં માંદગીના બિછાનેથી તેમણે પોતાના પ્રકાશકને 4000 રૂબલ તાત્કાલિક મોકલવા વિનંતીપત્ર લખ્યો.

બે જ દિવસમાં, 26 જાન્યુઆરી, 1881 ના રોજ દોસ્તોયેવ્સ્કીનું અવસાન થયું.

અન્નાએ સ્વર્ગસ્થ પતિના અપ્રકાશિત પુસ્તકો પ્રગટ કરી પત્નીધર્મ નિભાવ્યો.

કરુણતા એ કે મૃત્યુબિછાને 4000 રૂબલની યાચના કરનાર મહાન સાહિત્યકારનાં પુસ્તક મૃત્યુ પછી પ્રગટ થતાં 75000 રૂબલનો વરસાદ વરસ્યો.

.

દોસ્તોયેવ્સ્કી સમા મહાન સર્જકોની સર્જનશક્તિ કેવી આંતરવ્યથામાંથી જન્મતી હોય છે!

.

3 Responses

  1. [...] આપી ગઈ. તેં વળી એક ડગલું આગળ વધી મહાન રશિયન લેખક દોસ્તોયેવ્સ્કી ને યાદ [...]

  2. સરસ અને કરૂણા સભર માહીતિ જાણવા મળી. આભાર .

  3. ગુજરાતી ઈંટરનેટ પર આપના લખાણ સાવ નોખા પડે છે. બીજા કોઈ બ્લોગ પર આટલી રસભરી વાતો આજ લગી દેખાણી નથી. આ તમારા રશિયન લેખકનું નામ જ આજે સાંભળ્યું, પણ અનામિકા પર વાર્તામાં મઝા આવી. અમારા જેવા ધંધામાં ખૂંપેલાંને વાંચવાનો સમય નથી તો તમે આવી દુનિયા અમને બતાવીને અમારી મોટી સેવા કરો છો. તમારા લખાણ શાળા-કોલેજોમાં વંચાવાં જોઈએ.

Leave a Reply