અનામિકાને પત્ર: 3

 પ્રિય અનામિકા,

તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ!

આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ.

તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ, અને વિચારીએ; આ વ્યવસ્થા સર્જાય છે વિચારશીલતાથી, કર્તવ્યશીલતાથી, સર્જનશીલતાથી.

વિશ્વવ્યવસ્થાનાં કેટલાંક પરિબળો છે, પરંતુ સાચું પૂછો તો દુનિયાને દોરવે છે થોડા મૂઠી ઊંચેરા માનવી. નોખી ભાત પાડતા અસાધારણ ચરિત્રો.

આ વિરલા એક તેજ લિસોટા સમાન જીવન જીવી જાય છે; સમાજમાં તરંગો જગાવી જાય છે; સદીઓને ઝળાંહળાં કરી જાય છે.આ વિરલાઓ વિચારક હોય છે, સર્જક હોય છે, પથ-પ્રદર્શક હોય છે. તેમનાં વિચારો, તેમનાં કાર્યો, તેમની કૃતિઓ ઈતિહાસનાં નવાં પૃષ્ઠો રચે છે. ફલત: સંસ્કૃતિનું આલેખન થતું રહે છે, જતન પણ થતું રહે છે.

પ્રાચીન કાળથી આજ સુધી વિભિન્ન પ્રદેશોમાં પથપ્રદર્શક જન્મતા જ  રહ્યા છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં આ વિરલાઓનું અદભુત યોગદાન રહ્યું છે. તેમની સપૂર્ણ યાદી કઈ રીતે બનાવી શકાય? અસંભવ!

આપણા અતિપ્રાચીન વૈદિક કાળના ઋષિ-મુનિઓથી લઈ મહર્ષિ અરવિંદ, સોક્રેટિસ થી નિત્શે, વાલ્મિકીથી કાલિદાસ, એરિસ્ટોટલથી આઈન્સ્ટાઈન, હોમર, શેક્સપિયર, ચંદ્રગુપ્ત-ચાણક્ય,  ઓગસ્ટસ સિઝર, લિયોનાર્ડો દ વિંચિ (વિંશિ),  રાફેલ અને રેમ્બ્રાં, બિથોવન અને મોઝાર્ટ ….. કોને યાદ કરો? કોને નહીં? વિવાદ થતા રહેશે અને  યાદી લંબાતી જ રહેશે. પરંતુ તે સૌના જીવન અને વિચારો-કાર્યો વિશે જાણવું તે સંસ્કૃત મનુષ્યનું લક્ષણ છે.

આવા અસંખ્ય નામી-અનામી વિરલાઓએ આપણા માનવ-અસ્તિત્વને અર્થ આપ્યો છે. આપણે આ સત્ય કદી ન ભૂલીએ! …..  સસ્નેહ આશીર્વાદ.

One Response to “અનામિકાને પત્ર: 3”

  1. Dear Uncle

    પત્રો દ્રારા સમાજના કેટલાય સળગતા પ્રશ્ર્નો તેના જવાબો સાથે દશૉવતી અભિવ્યક્તિ ગમી.

    ભાષા બદલવાની સાથે સંબોધન બદલવાનું મને જરાપણ નહીં ફાવે,.કેટલાય દિવસોથી લખું લખું કરતીઅ આજે આખરે લખવા બેસી તો ગઇ છું પરંતુ ખબર નથી શું લખીશ. ? આપના બ્લોગ પર પ્રકાશિત કરેલા પત્રો અનેક વાર વાંચ્યા, અનિમિકાને ઉદેશીને લખેલા એ પત્રો નાનકડા આ મનમાં કેટલાય જવાબો સાથે કેટલાય પ્રશ્ર્નો ઊભા કરી જાય છે.!!અમેરીકન સમાજવ્યવસ્થા એક આધુનિક સમાજરચના, આજના યુગની સફળ સમાજરચના કે જેમના કેટલાક દુષણો કે જે આપણને આપણી વ્યવસ્થા સાથે અવ્યહારુ લાગે પણ છે તો એનો એક ભાગ જ ને !!વિવિધ ખંડો,દેશો, પ્રદેશો અનુસાર વિવિધતા ધરાવતી સંસ્કૃતિ માટે કોઇ આદશૅ સંસ્કૃતિ ખરી? શું આદશૅ વિધાનોનો ઇજારો ફકત સમાજશાસ્ત્રી, તત્વચિતંકો દ્રારા લખાયેલ પુસ્તકો પાસે જ છે? આવનારે પેઢીને આદરણીય ઉદાહરણ પૂરું પાડે તેવી કોઇ જ સંસ્કૃતિ રચી શકવાની તાકાત નથી તે શબ્દોમાં? “વિચારશીલતાથી, કર્તવ્યશીલતાથી, સર્જનશીલતાથી.” આપની એ વ્યાખ્યા સાથે સંપૂણૅ રીતે સહમત છું. પરંતુ આજે મારાને તમારા માંથી કેટલાએ આદૅશ સંસ્કૃતિના વિકાસ માટે સભાન છે. કદાચ આપના પ્રોત્સાહનથી પોતાનામાં રહેલી સર્જનશીલતાને જગાડવાના પ્રય્તન ક્યૉ છે. પરંતુ, કર્તવ્યશીલતાના ભાગરૂપે સમાજના એ જડ નિયમો જ કદાચ મારી એ સર્જનશીલતા ભવિષ્યમાં સહેલાઇથી નહીં સ્વીકારી શકે. અસંભવ કેમ? મારાને તમારા જેવા હું તો કહું બ્લોગની મુલાકાત લેનારા દરેક ખાલી પોતાની જાતને આદૅશ પરિસ્થતી સાથે ગોઠવી શકે તો પણ ઘણું છે…!!!!!!!

    ઘણાં પ્રશ્ર્નો છે…વળતા જવાબો પણ છે…… આપની દરેક પોસ્ટ પર પ્રતિભાવો ઉદભવ્યા છે !!પરંતુ આ સરવાણીને અત્યારે હાલ પૂરતી અહીં જ અટકાવું છું.

    આપની આભારી ..

    નેહા

Leave a Reply